Tragedy on Duty: રાજ્યમાં હાર્ટ એટેકથી થતાં મોતનો સિલસિલો યથાવત છે, ત્યારે જામનગર એસ.ટી. (ST) ડેપોમાંથી એક અત્યંત દુઃખદ અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સુરત-જામનગર રૂટની એસ.ટી. બસમાં ચાલુ ફરજે ફરજ બજાવી રહેલા કંડક્ટર વિરેન્દ્રભાઈ હિંમતલાલ જાનીનું હૃદયરોગના જીવલેણ હુમલા (Heart Attack) ના કારણે કરુણ મોત નીપજ્યું છે. ચાલુ ફરજે બનેલી આ ઘટનાથી એસ.ટી. કર્મચારીઓ અને મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
Tragedy on Duty: ચોટીલા નજીક છાતીમાં ગભરામણ થઈ અને ઢળી પડ્યા
મળતી વિગતો મુજબ, જામનગર ડેપોના કંડક્ટર વિરેન્દ્રભાઈ જાની સુરત-જામનગર રૂટની બસમાં પોતાની ઓન-ડ્યુટી ફરજ પર હતા. સુરતથી મુસાફરો ભરીને જામનગર તરફ પરત ફરી રહેલી બસ જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક પહોંચવા આવી હતી, ત્યારે અચાનક વિરેન્દ્રભાઈને છાતીમાં અસહ્ય ગભરામણ થવા લાગી હતી. કંઈ પણ સમજે તે પહેલાં જ તેઓ બસમાં જ મુસાફરોની નજર સામે બેભાન થઈને ઢળી પડ્યા હતા.
Tragedy on Duty: પરિવાર અને એસ.ટી. વર્તુળમાં ઘેરા શોકની લાગણી
બસમાં ફરજ પરના કંડક્ટર અચાનક બેભાન થઈ જતાં મુસાફરો અને ડ્રાઈવરે તાત્કાલિક બસને થંભાવી દીધી હતી અને વિરેન્દ્રભાઈને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, સારવાર મળે તે પૂર્વે જ તેમણે દમ તોડી દીધો હતો. તબીબોએ તેમને મૃત જાહેર કરતાં જ ચાલુ ફરજે એક કર્તવ્યનિષ્ઠ કર્મચારીના મોતના સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા.
વિરેન્દ્રભાઈના અકાળે અવસાનના સમાચાર જામનગર એસ.ટી. ડેપો અને તેમના વતન પહોંચતા જ સાથી કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. એસ.ટી. યુનિયન અને અધિકારીઓએ મૃતક કર્મચારીના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી પરિવારને સાંત્વના પાઠવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ઈન્ડિયા-Aનો ધમાકો: અફઘાનિસ્તાન-A સામે ખડક્યો 349 રનનો પહાડ; પ્રભસિમરન, ગાયકવાડ અને તિલકની શાનદાર ફિફ્ટી




