EPFO Major Rule Change:કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પીએફ (PF) ક્લેમ અને પૈસા ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે એક ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર, કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં પાત્ર સભ્યો હવે કોઈપણ કારણ જણાવ્યા વગર જ પીએફની ૧૦૦% રકમ ઉપાડવા માટે અરજી કરી શકશે. આ નિર્ણયથી લાખો કર્મચારીઓની ઓફિસોના ધક્કા ખાવાની પરેશાનીનો અંત આવશે.
EPFO Major Rule Change:અગાઉ શું નિયમ હતો?
અત્યાર સુધી લાંબા સમયની બેરોજગારી, કંપની બંધ થવી, મહામારી કે કુદરતી આપત્તિ જેવી અસાધારણ પરિસ્થિતિઓમાં જ પૂરેપૂરી રકમ ઉપાડવાની મંજૂરી મળતી હતી. પરંતુ તેના માટે ચોક્કસ કારણ જણાવવું અને તે અંગેના દસ્તાવેજો રજૂ કરવા ફરજિયાત હતા. ઘણી વખત ટેકનિકલ કારણોસર અથવા દસ્તાવેજો મેચ ન થવાને લીધે ક્લેમ નામંજૂર (Reject) થઈ જતા હતા.
EPFO Major Rule Change:નવા નિયમથી શું બદલાયું?
સરકારી સૂચના અનુસાર, EPFOએ વિશેષ પરિસ્થિતિઓ હેઠળ પીએફ ઉપાડવા માટે કારણ સ્પષ્ટ કરવાની ફરજિયાત શરત હટાવી દીધી છે.
- ઝડપી પ્રક્રિયા: હવે સભ્યોએ કોઈ વધારાનું કારણ આપવું નહીં પડે, જેથી ક્લેમ ખૂબ જ ઝડપથી પાસ થઈ જશે.
- ઓછા રિજેક્શન: કારણોની ચકાસણી ન કરવાની હોવાથી ક્લેમ નામંજૂર થવાના કિસ્સાઓમાં મોટો ઘટાડો થશે.
EPFO Major Rule Change:કઈ ‘વિશેષ પરિસ્થિતિઓ’માં ૧૦૦% રકમ ઉપાડી શકાશે?

EPFO નીચે દર્શાવેલી ખાસ પરિસ્થિતિઓમાં આ સુવિધા આપશે: ૧. કંપની ૧૫ દિવસથી વધુ સમય માટે બંધ થઈ ગઈ હોય કે કામગીરી અટકી પડી હોય. ૨. કર્મચારીને સતત બે મહિનાથી વધુ સમય સુધી પગાર ન મળ્યો હોય. ૩. કંપનીમાંથી છટણી અથવા બરતરફી બાદ કોર્ટમાં કેસ દાખલ કર્યો હોય. ૪. કંપની ૬ મહિનાથી વધુ સમય માટે સંપૂર્ણ બંધ થઈ ગઈ હોય. ૫. સભ્ય અથવા તેના પરિવારના સભ્યોની ગંભીર સારવાર માટે (આવા કેસમાં જરૂરી તબીબી પ્રમાણપત્રો આપવાના રહેશે).
સામાન્ય પરિસ્થિતિમાં શું રહેશે નિયમ?
ધ્યાનમાં રાખવા જેવી બાબત: આ નવો નિયમ સામાન્ય સંજોગો માટે નથી. સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ સભ્ય પોતાની મરજીથી ૧૦૦% રકમ ઉપાડી શકશે નહીં.
- ૭૫% સુધીનો ઉપાડ: સામાન્ય પરિસ્થિતિમાં સભ્યો પોતાની પીએફની રકમના ૭૫% સુધીનો ભાગ કોઈ પણ દસ્તાવેજ રજૂ કર્યા વગર ઉપાડી શકે છે.
- ૧૦૦% પીએફ ઉપાડવાની આ નવી છૂટછાટ માત્ર ઉપર જણાવેલી વિશેષ પરિસ્થિતિઓ પૂરતી જ મર્યાદિત રહેશે.
EPFOના આ પ્રજાલક્ષી નિર્ણયથી કર્મચારીઓને કટોકટીના સમયે પોતાની જ જમાપુંજી મેળવવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.
આ પણ વાંચો :26માંથી 14 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, ભાજપને 10 અને કોંગ્રેસને 4 બેઠકો મળી




