Venezuela Sailor Death: મર્ચન્ટ નેવીમાં ફરજ બજાવતા એક ભારતીય નાવિકના મૃત્યુ બાદ જે ચોંકાવનારો ખુલાસો થયો છે, તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. વેનેઝુએલામાં રહસ્યમય રીતે જીવ ગુમાવનાર ૩૩ વર્ષીય નાવિક રાકેશ ચૌહાણના શરીરમાંથી હૃદય, મગજ, ફેફસાં અને કિડની સહિતના તમામ મુખ્ય આંતરિક અંગો ગાયબ હોવાનો પીડિત પરિવારે ગંભીર આરોપ લગાવ્યો છે. ભારતમાં કલેક્ટરના આદેશથી જ્યારે બીજી વાર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે આ કાળજું કંપાવી દેનારી વિગતો સામે આવી છે, જેના કારણે મૃત્યુ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાની આશંકા સેવાઈ રહી છે.

Venezuela Sailor Death: શું છે સમગ્ર મામલો?
ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રહેવાસી રાકેશ ચૌહાણે નવેમ્બર ૨૦૨૫માં મર્ચન્ટ નેવી જોઈન કરી હતી અને તેઓ વેનેઝુએલામાં મરીન ફિટર તરીકે કાર્યરત હતા. ગત ૭ મેના રોજ શિપિંગ કંપનીએ પરિવારને ફોન કરીને જણાવ્યું કે રાકેશ જહાજ પરથી પડી ગયા છે અને બીજા જ દિવસે ૮ મેના રોજ કંપનીએ દાવો કર્યો કે ચક્કર આવવાથી પડ્યા બાદ સારવાર દરમિયાન ‘હાર્ટ એટેક’ આવતા તેમનું અવસાન થયું છે.

Venezuela Sailor Death: ભારતમાં બીજા પોસ્ટમોર્ટમમાં ખૂલી ભયાનક સત્યની કડીઓ
રાકેશનો મૃતદેહ જ્યારે વતન ભારત લાવવામાં આવ્યો ત્યારે શરૂઆતમાં સ્થાનિક તબીબોએ એમ કહીને પરીક્ષણ ટાળ્યું કે વેનેઝુએલામાં પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે. જોકે, પરિવારને શંકા જતાં દેવરિયાના કલેક્ટર મધુસૂદન હુલગીના વિશેષ આદેશ પર બીજું પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. આ તપાસમાં જે સામે આવ્યું તેનાથી તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા:
- શરીર ખાલી ખોખું બની ગયું: રાકેશના શરીરમાંથી મગજ, હૃદય, લીવર, ફેફસાં, બંને કિડની, પેન્ક્રિયાસ (સ્વાદુપિંડ), પિત્તાશય, આંતરડાં, મૂત્રાશય, થાઇરોઇડ ગ્રંથિ, વોઇસ બોક્સ અને શ્વાસનળી સહિતના તમામ આંતરિક અંગો ગાયબ હતા.
- શરીર પર ૨૨ ટાંકા: મૃતદેહ પર ગરદનથી નીચે અને એક કાનથી બીજા કાન સુધી કુલ ૨૨ મોટા ટાંકા લેવામાં આવ્યા હતા, જેની જાણકારી કંપનીએ અગાઉ આપી નહોતી. અંગો જ ઉપલબ્ધ ન હોવાથી ભારતમાં ડોક્ટરો માટે મોતના સાચા કારણની ફોરેન્સિક તપાસ કરવી પણ અશક્ય બની ગઈ હતી.

Venezuela Sailor Death: કંપનીની શંકાસ્પદ ભૂમિકા: FSUI એ લગાવ્યા ગંભીર આરોપો
નાવિકોના હિત માટે કામ કરતી સંસ્થા ‘ફોરવર્ડ સીમેન યુનિયન ઓફ ઇન્ડિયા’ (FSUI) આ મામલે સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવીને કંપની પર તીખા પ્રહારો કર્યા છે:
- ખોટી સહી અને નામ: શબ મેળવ્યાની સત્તાવાર રસીદ પર રાકેશની પત્ની રંજના ચૌરસિયાના બદલે ‘અંજના ચૌરસિયા’ નામ લખીને ખોટી હસ્તાક્ષર કરાયા છે.
- જહાજ બદલી નાખ્યું: એમ્પ્લોયમેન્ટ એગ્રીમેન્ટ (કરાર) મુજબ રાકેશની જે જહાજ પર તૈનાતી હોવી જોઈતી હતી, તેના બદલે દસ્તાવેજોમાં અલગ જ શિપ દર્શાવવામાં આવ્યું છે.
- મોટો સવાલ: પરિવારની લેખિત સંમતિ વિના વિદેશમાં નાવિકના તમામ અંગો કેમ કાઢી લેવાયા અને આ વાત કેમ છુપાવવામાં આવી?
Venezuela Sailor Death: પરિવાર આભ ફાટ્યું: તપાસ અને ન્યાયની વન-પોઇન્ટ માંગ
રાકેશના પરિવારે વિદેશ મોકલવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કોવિડ દરમિયાન રાકેશની માતાનું અવસાન થયું હતું અને હવે પરિવારનો કમાતો દીકરો ચાલ્યો જતાં આખો પરિવાર નિરાધાર બન્યો છે. રાકેશની પત્ની રંજના હાલ પોતાના ૬ મહિનાના માસૂમ પુત્ર સાથે આઘાતમાં છે. પીડિત પરિવારે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય સમક્ષ આ આંતરરાષ્ટ્રીય કાવતરાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા, દોષિતો સામે માનવ તસ્કરી અને અંગોની ચોરીનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા અને આર્થિક વળતર આપવાની ગુહાર લગાવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




