HomeGujaratVadodara Crime: વડોદરાના અટલાદરામાં ગેરેજ વિવાદ લોહિયાળ બન્યો, પાર્કિંગ મુદ્દે હિંસક હુમલો,...

Vadodara Crime: વડોદરાના અટલાદરામાં ગેરેજ વિવાદ લોહિયાળ બન્યો, પાર્કિંગ મુદ્દે હિંસક હુમલો, કાર-મકાનમાં તોડફોડ સાથે 3 મહિલા સહિત 4 ઈજાગ્રસ્ત

Vadodara Crime: વડોદરાના અટલાદરા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રહેણાંક વિસ્તારમાં ચાલતા એક ગેરેજના પાર્કિંગના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. અટલાદરાના કોઠીવાળું ફળિયામાં લાંબા સમયથી ચાલી રહેલી આ તકરાર ગતરોજ ઉગ્ર બની હતી. ગેરેજ સંચાલક અને તેના સાથીદારોએ સ્થાનિક રહીશો પર હુમલો કરી, ઘર અને કારમાં ભારે તોડફોડ મચાવી હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર મામલો અટલાદરા પોલીસ મથકે પહોંચ્યો છે.

Vadodara Crime

Vadodara Crime: રહેણાંક વિસ્તારમાં ગેરેજ બન્યું માથાનો દુખાવો

સ્થાનિક રહીશ રેખાબેનના જણાવ્યા અનુસાર, શાંત અને રહેણાંક ગણાતા કોઠીવાળું ફળિયામાં એક ગેરેજ શરૂ કરવામાં આવ્યું છે. આ ગેરેજને કારણે દિવસ-રાત અહીં મોટા અને કોમર્શિયલ વાહનોની સતત અવરજવર રહે છે. વાહનોના કાન ફાડી નાખતા હોર્ન અને અસ્તવ્યસ્ત પાર્કિંગની સમસ્યાને લીધે અહીં રહેતા પરિવારોનું જીવવું હરામ થઈ ગયું છે. આ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા બાબતે સ્થાનિકો દ્વારા અવારનવાર ગેરેજ સંચાલકને રજૂઆત કરવામાં આવતી હતી, જેને લઈને બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી મનદુઃખ અને નાની-મોટી તકરારો ચાલતી હતી.

Vadodara Crime: ધોકા-લાકડીઓ સાથે ધસી આવ્યું ટોળું: ફિલ્મી ઢબે તોડફોડ અને હુમલો

સ્થાનિક રહીશ ચિરાગભાઈએ આ ભયાનક ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, ગઈકાલે બપોરના સમયે અચાનક જ ગેરેજ સંચાલક તેના માણસો સાથે ઉશ્કેરાયેલી હાલતમાં ધસી આવ્યો હતો. રેખાબેનના આક્ષેપ મુજબ, ગેરેજ સંચાલક યોગેશ તેમજ તેની સાથે અજય, ફતેસિંહ, પપ્પુ, ગોપાલ અને લાલી સહિતના શખ્સોના ટોળાએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો.

આ માથાભારે તત્વોએ ફળિયામાં પાર્ક કરેલી એક ઇકો કારના કાચ તોડી નાખ્યા હતા અને ઘરની બારીઓ પર પથ્થરમારો તેમજ લાકડીઓ ફટકારીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ આચનક થયેલા હુમલામાં વચ્ચે બચાવવા પડેલી ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોને ઈજા થઈ હતી, જેના કારણે ફળિયામાં ચીસાચીસ અને ભયનો માહોલ સર્જાયો હતો.

Vadodara Crime: પોલીસની કામગીરી સામે સ્થાનિકોના ગંભીર આક્ષેપો

એકતરફી કાર્યવાહીનો આક્ષેપ: આ હિંસક ઘટના બાદ ભોગ બનનાર પરિવારે અટલાદરા પોલીસ સ્ટેશનના દ્વાર ખટખટાવ્યા છે. જોકે, હુમલાનો ભોગ બનેલા રેખાબેને સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે આ મામલામાં પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવાને બદલે એકતરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આરોપીઓને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

હાલમાં ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને રહીશોએ ન્યાયની માંગ સાથે પોલીસ ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરવાની તૈયારી બતાવી છે. રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા આવા કોમર્શિયલ ગેરેજ બંધ થાય અને સ્થાનિકોને સુરક્ષા મળે તેવી માંગ હવે જોર પકડી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ડભોઇમાં મોટી હોનારત ટળી, સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ઇકો કાર સાથે યુવાન તળાવમાં ખાબક્યો, સ્થાનિકોએ બચાવ્યો જીવ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments