Tragic Double Whammy: “જેને રામ રાખે તેને કોણ ચાખે” એ કહેવત આપણે સૌએ સાંભળી છે, પરંતુ ક્યારેક કાળ એવી ક્રૂર રમત રમે છે કે માણસ લાચાર બની જાય છે. મહેસાણા જિલ્લાના વિસનગર પાલડી ચોકડી પાસે શનિવારે (6 જૂન) રાત્રે એક એવો જ ગમખ્વાર અકસ્માત સર્જાયો, જે સાંભળીને જ ધ્રુજારી છૂટી જાય. અગાઉ થયેલા અકસ્માતની સારવાર બાદ ઘરે આવેલા અને ફરી તબિયત બગડતાં એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ જઈ રહેલા 26 વર્ષીય યુવક વિજયકુમાર ઠાકોરનું બીજા અકસ્માતમાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

Tragic Double Whammy: હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કાળ ભેટી ગયો
મળતી વિગતો અનુસાર, વડનગર તાલુકાના શોભાસણ ગામના રહેવાસી વિજયકુમાર ઠાકોરને ગત 21મી મેના રોજ એક અકસ્માત નડ્યો હતો. મહેસાણાની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેઓ થોડા દિવસ પહેલાં જ સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. જો કે, શનિવારની રાત્રે અચાનક તેમની તબિયત ફરી બગડી હતી.
પિતા વસંતજી ઠાકોર અને મોટા ભાઈ પ્રકાશજી તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડોક્ટરોએ તેમને વધુ સારવાર માટે મહેસાણા રીફર કર્યા હતા. પરિવારે તાત્કાલિક એક ખાનગી એમ્બ્યુલન્સ ભાડે કરી અને મહેસાણા તરફ નીકળ્યા.
Tragic Double Whammy: રોંગ સાઈડથી આવતી કારે એમ્બ્યુલન્સના કુચ્ચે-કુચ્ચા ઉડાડ્યા
એમ્બ્યુલન્સ દર્દીને લઈને વિસનગર પાલડી ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે કાંસા ચોકડી તરફથી રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવતી એક કારે એમ્બ્યુલન્સને સામેથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે એમ્બ્યુલન્સમાં સૂતેલા વિજયકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગાડીમાં સવાર તેમના પિતા, ભાઈ અને એમ્બ્યુલન્સ ચાલક અંકિતજી ઠાકોરને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની ગાડી ત્યાં જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.
Tragic Double Whammy: બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
અગાઉના અકસ્માતમાંથી માંડ જીવ બચાવીને ઘરે આવેલા વિજયકુમારને કુદરતે બીજા અકસ્માતમાં છીનવી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અકસ્માતને કારણે વિજયકુમારના બે માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. જુવાનજોધ દીકરાના મોતના પગલે સમગ્ર શોભાસણ ગામમાં હિબકા અને ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
Tragic Double Whammy: પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ વિસનગર શહેર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે મૃતકના પિતા વસંતજી ઠાકોરની ફરિયાદના આધારે ફરાર અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




