ગોંડલ:
Tragedy Near Gondal: પવિત્ર પુરષોત્તમ માસ નિમિત્તે ધાર્મિક સ્થળોના દર્શને નીકળેલા શ્રદ્ધાળુઓ માટે આજ (૨૫ મે)ની વહેલી સવાર કાળમુખી સાબિત થઈ છે. બગદાણા, રાજપરા, ઊંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિક સ્થાનોના દર્શન કરીને પરત ફરી રહેલી યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ ગોંડલના વોરા કોટડા ગામ નજીક પલટી મારી ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના સાસુ-વહુના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે ૨૫ જેટલા મુસાફરો લોહીલુહાણ થયા છે.
Tragedy Near Gondal: સામેથી આવતા ટ્રકને સાઈડ આપવા જતાં સર્જાઈ હોનારત

મળતી વિગતો મુજબ, ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે ૪:૩૦ વાગ્યે એક ખાનગી બસ (નંબર: GJ18U 9985) ૬૨ જેટલા શ્રદ્ધાળુઓને લઈને દર્શનાર્થે રવાના થઈ હતી. તમામ સ્થળોએ દર્શન પૂરા કરી પરત ફરી રહેલી આ બસ આજે વહેલી સવારે ૪:૩૦ વાગ્યાની આસપાસ વોરા કોટડાથી બાંદરા જવાના રોડ પર પહોંચી હતી.
આ માર્ગ સિંગલ પટ્ટી હોવાથી સામેથી એક ટ્રક આવી રહ્યો હતો. ટ્રકને સાઈડ આપવા માટે ખાનગી બસના ચાલકે વાહન રિવર્સમાં લીધું હતું, પરંતુ સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડની નીચે આવેલા ઊંડા ખાડામાં પલટી મારી ગઈ હતી. બસ પલટતાં જ ગાઢ નિદ્રામાં રહેલા મુસાફરોની ચીસાચીસ અને કરુણ આક્રંદથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત સમયે બસમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત કુલ ૬૨ લોકો સવાર હતા.
Tragedy Near Gondal: એક જ પરિવારના સાસુ-વહુના મોત, ૫ની હાલત ગંભીર

આ ગમખ્વાર અકસ્માતમાં બસ નીચે દબાઈ જવાથી બે મહિલાઓએ જીવ ગુમાવ્યા છે. મૃતકોની ઓળખ નીચે મુજબ થઈ છે: ૧. શાંતાબેન પુનાભાઈ મકવાણા (સાસુ) ૨. મંજુબેન રસિકભાઈ મકવાણા (વહુ)
અકસ્માતને પગલે ૨૫ જેટલા મુસાફરો ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલો પૈકી ૫ લોકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ અને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે.
Tragedy Near Gondal: સ્થાનિકો અને સામાજિક સંસ્થાઓનું ત્વરિત રેસ્ક્યૂ

ઘટનાની જાણ થતાં જ વોરા કોટડા અને દેવચડી ગામના સ્થાનિક યુવાનો અને સામાજિક કાર્યકરો તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બસના કાચ તોડીને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવ કાર્યમાં ગોંડલ નગરપાલિકાની ૩ એમ્બ્યુલન્સ, ૧૦૮ની ૪ એમ્બ્યુલન્સ અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સનો કાફલો જોતરાયો હતો.
સ્થાનિક અગ્રણીઓ અને હોસ્પિટલના સ્ટાફે દર્દીઓની સારવારમાં મદદ કરી હતી. અકસ્માતની ગંભીરતાને જોતા ગોંડલ તાલુકાના IPS પ્રખરકુમાર સહિતનો ઉચ્ચ પોલીસકાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મોંઘવારીનો ડામ: ઈરાન યુદ્ધની અસર વચ્ચે આ મહિને ચોથી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, દિલ્હીમાં પેટ્રોલ ₹100ને પાર




