Horrific Accident in Punjab: પંજાબના ફતેહગઢ સાહિબમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. શ્રી આનંદપુર સાહિબ ખાતે વૈશાખીના મેળામાં દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ હિંમતપુરા ગામ પાસે અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં ૬ શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા છે, જ્યારે ૧૫થી વધુ લોકો ઘાયલ થયા છે.
Horrific Accident in Punjab: કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, બસમાં અંદાજે ૪૦ જેટલા શ્રદ્ધાળુઓ સવાર હતા. હિંમતપુરા ગામ પાસે બસમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અનિયંત્રિત બસ સીધી વીજળીના થાંભલા સાથે અથડાઈને પલટી ગઈ હતી. બસમાં સવાર મુસાફરોએ જણાવ્યું કે, થાંભલા સાથે અથડાયા બાદ બસમાં વીજ કરંટ ઉતરી આવ્યો હતો, જેના કારણે જાનહાનિ વધી હતી.
Horrific Accident in Punjab: ગામથી માત્ર ૧.૫ કિમી દૂર કાળ ભરખી ગયો

એસએસપી ડો. શુભમ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ અકસ્માત અત્યંત કમનસીબ છે કારણ કે શ્રદ્ધાળુઓ જે ગામે પહોંચવાના હતા તે મૈણ માજરી ગામ અકસ્માત સ્થળથી માત્ર ૧.૫ કિલોમીટર જ દૂર હતું. ઘરે પહોંચવાની ગણતરીની મિનિટો પહેલા જ કાળે આ શ્રદ્ધાળુઓને ભરખી લીધા હતા.
સ્થાનિકોએ દેવદૂત બની બચાવ કામગીરી કરી

અકસ્માત થતાં જ આસપાસના ગ્રામજનો મદદે દોડી આવ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થયો હતો, તેથી લોકોએ પોતાની રીતે જ કાચ તોડીને બસમાં ફસાયેલા મહિલાઓ અને બાળકોને બહાર કાઢ્યા હતા.
- ૧૨ ઘાયલોને મોરિન્ડા હોસ્પિટલ ખસેડાયા.
- ૯ ઘાયલોને ફતેહગઢ સાહિબ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
- ગંભીર રીતે ઘાયલોને ચંદીગઢ PGI રેફર કરવામાં આવ્યા છે.
સાંસદ હરસિમરત કૌર બાદલે વ્યક્ત કર્યું દુઃખ

બઠિન્ડાના સાંસદ હરસિમરત કૌર બાદલે આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. ગુરુ સાહેબ દિવંગત આત્માઓને શાંતિ આપે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.”
આ પણ વાંચો :વાહન ચાલકો સાવધાન આવતીકાલથી ટોલ ટેક્સના નિયમો બદલાશે, જાણો સરકારની નવી ગાઈડલાઈન




