Ahmedabad Mega Demolition: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરના તળાવો પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ વધુ તેજ કરવામાં આવી છે. તેના ભાગરૂપે ગુરુવારે ઈસનપુર વિસ્તારમાં આવેલા આંબા તળાવ ખાતે મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. સવારથી જ AMCના એસ્ટેટ વિભાગે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે 160થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, લાંભા વોર્ડમાં મોની હોટેલની ગલી નજીક આવેલા આંબા તળાવની જમીન પર વર્ષોથી કાચા-પાકા મકાનો અને કોમર્શિયલ એકમો ઉભા થઈ ગયા હતા. AMC દ્વારા અગાઉ નોટિસ આપીને રહેવાસીઓને સ્થળ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ આજે પાંચથી વધુ JCB અને હિટાચી મશીનોની મદદથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

Ahmedabad Mega Demolition: 147 રહેણાંક અને 14 કોમર્શિયલ એકમો પર કાર્યવાહી
AMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તળાવની જમીન પર કુલ 147 જેટલા રહેણાંક મકાનો અને 14 જેટલી કોમર્શિયલ મિલકતો ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવી હતી. તમામ દબાણો દૂર થયા બાદ આશરે 26,000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી થશે, જેનો કબજો મહાનગરપાલિકા ફરીથી મેળવશે.
Ahmedabad Mega Demolition: તળાવનું પુનઃસ્થાપન થશે
મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ, દબાણો દૂર કર્યા બાદ આંબા તળાવને મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાની યોજના છે. તળાવને ઊંડું બનાવી તેની જળસંચય ક્ષમતા વધારવામાં આવશે, જેથી વરસાદી પાણીના સંગ્રહમાં વધારો થઈ શકે અને પર્યાવરણને પણ ફાયદો થાય.

Ahmedabad Mega Demolition: પુરાવા રજૂ કરનાર પરિવારોને મળશે મકાન
ડિમોલિશનથી અસરગ્રસ્ત પરિવારો માટે AMCએ વૈકલ્પિક વ્યવસ્થાની જાહેરાત કરી છે. જે પરિવારો વર્ષોથી અહીં વસવાટ કરતા હોવાના દસ્તાવેજી પુરાવા રજૂ કરશે, તેમને નિયમો અનુસાર આવાસ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત તાત્કાલિક આશ્રયની જરૂરિયાત ધરાવતા લોકોને નજીકના રેન બસેરામાં રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પોલીસ, ફાયર અને મેડિકલ ટીમ તૈનાત
કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય સ્થિતિ સર્જાય નહીં તે માટે ઇસનપુર અને નારોલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમોને પણ સ્થળ પર તૈનાત રાખવામાં આવી છે.
આ પણ વાંચો :ઇમરજન્સી સેવાઓને પણ નડી મોંઘવારી: અમદાવાદ ફાયર બ્રિગેડના ચાર્જમાં દોઢથી ત્રણ ગણો તોતિંગ વધારો




