US-Iran War Ceasefire: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના ૧૧૦ દિવસ લાંબા ચાલેલા ભીષણ યુદ્ધનો અંત આણતા દસ્તાવેજો પર હસ્તાક્ષર કરી દીધા છે. જોકે, આ કરાર અમેરિકા માટે યુદ્ધ શરૂ થવાના એક દિવસ પહેલા ટેબલ પર રહેલી ડીલ કરતાં પણ વધુ ખરાબ સાબિત થયો છે. આ ૧૧૦ દિવસના ગાળામાં દુનિયાએ કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠ્યું છે અને ૭ હજારથી વધુ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઇઝરાયેલી પીએમ નેતન્યાહુના સૈન્ય ઇનપુટ્સના આધારે શરૂ કરાયેલા આ યુદ્ધના અંતે અમેરિકાના તમામ ૪ મુખ્ય લક્ષ્યો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે.
US-Iran War Ceasefire: ટ્રમ્પના ૪ ઘોષિત લક્ષ્યો જે ધૂળમાં મળી ગયા

- ૧. સત્તા પરિવર્તનનો દાવ ઊંધો પડ્યો:
યુદ્ધના પ્રારંભિક ગાળામાં જ અમેરિકા-ઇઝરાયેલે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈને મારી નાખ્યા હતા. ટ્રમ્પને આશા હતી કે ઈરાનની જનતા ઇસ્લામિક સત્તાને ઉખાડી ફેંકશે, પરંતુ તેનાથી વિપરીત ઈરાની પ્રજા વધુ એકજૂટ થઈ ગઈ. ખામેનેઈના પુત્ર મુજતબાને નવા સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા અને ઈરાનમાં અમેરિકા-વિરોધી ધાર્મિક શાસન યથાવત રહ્યું.
- ૨. પરમાણુ કાર્યક્રમ અટકાવવામાં નિષ્ફળતા:

અમેરિકા ઈચ્છતું હતું કે ઈરાન પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ કાયમ માટે બંધ કરી દે. પરંતુ નવી ડીલ મુજબ, ઈરાન માત્ર પોતાની પાસે રહેલી ૧૧ ટન પરમાણુ સામગ્રીને ‘ડાઉન-બ્લેન્ડ’ (ઓછી શક્તિશાળી) કરશે. તે આ સામગ્રી દેશની બહાર મોકલવા મજબૂર નથી. કરારમાં ‘ઈરાનની પરમાણુ જરૂરિયાતો’નો સ્વીકાર કરાયો હોવાથી ભવિષ્યમાં તેની પરમાણુ ક્ષમતા અકબંધ રહેશે.
- ૩. પ્રોક્સી સંગઠનોનો ખાત્મો ન થયો:
લેબનોનમાં હિઝબુલ્લાહ, યમનમાં હુતી અને પેલેસ્ટાઈનમાં હમાસને ખતમ કરવાનો ઉદ્દેશ્ય પણ અધૂરો રહ્યો છે. ઇઝરાયેલે દક્ષિણ લેબનોન પર કબજો કર્યો હોવા છતાં હિઝબુલ્લાહનું ગ્રાઉન્ડ નેટવર્ક હજુ સક્રિય છે. કરારમાં લેબનોનનો ખાસ ઉલ્લેખ કરીને ત્યાં સૈન્ય ઓપરેશન ન કરવાની શરત મુકાઈ છે.
- ૪. બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ યથાવત:
અમેરિકાએ તેહરાન નજીકના ખોજીર અને પરચીન સહિતના મુખ્ય મિસાઈલ કોમ્પ્લેક્સ પર ભારે બોમ્બમારો કર્યો હતો, પરંતુ ૭ જૂને ઇઝરાયેલ પર થયેલા બેલિસ્ટિક મિસાઈલ હુમલાએ સાબિત કર્યું કે ઈરાનની સૈન્ય ક્ષમતા નષ્ટ થઈ નથી. સેટેલાઇટ તસવીરો અનુસાર ઈરાને પોતાના ડેમેજ થયેલા મિસાઈલ બેઝનું સમારકામ પણ શરૂ કરી દીધું છે.
US-Iran War Ceasefire: યુદ્ધની વૈશ્વિક કિંમત અને તબાહીના આંકડા

ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક એન્ડ પીસ (IEP)ના અહેવાલ મુજબ, આ યુદ્ધથી વૈશ્વિક જીડીપી (GDP)ને ૧.૩ ટ્રિલિયન ડોલર (આશરે ₹૧૨૨ લાખ કરોડ)નું મોટું નુકસાન થયું છે. આ વૈશ્વિક અર્થતંત્રના ૦.૬% જેટલું છે. વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર જે ૨૦૨૫માં ૩.૪% હતો, તે ઘટીને ૨.૮% પર આવી ગયો છે.
- ઈરાનમાં ભયાનક નુકસાન: યુદ્ધ દરમિયાન ૩૦૭ હોસ્પિટલો સહિત ૧ લાખ ૨૨ હજારથી વધુ ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. અમેરિકી બોમ્બમારામાં એક ગર્લ્સ સ્કૂલ પર થયેલા હુમલામાં ૧૬૦ બાળકીઓના મોત થયા હતા.
- ઇઝરાયેલ અને ખાડી દેશો પર પ્રહાર: ઈરાને ઇઝરાયેલ પર ૬૫૦થી વધુ મિસાઈલો છોડી, જેનાથી ૬,૫૦૦ ઇમારતોને નુકસાન થયું. આ ઉપરાંત, યુએઈ (UAE) અને સાઉદી અરેબિયાના ૮૦થી વધુ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ડ્રોન હુમલા કરાયા, જેના સમારકામ પાછળ અબજો ડોલરનો ખર્ચ થશે.
- ઈરાનને વળતરની જોગવાઈ: આ કરાર અંતર્ગત યુદ્ધ પહેલા ખુલ્લા એવા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી ઈરાન-ઓમાન ‘ફી’ વસૂલશે. એટલું જ નહીં, ઈરાનને વળતર તરીકે ₹૨૮ લાખ કરોડ આપવાની જોગવાઈ પણ આ ડીલમાં સામેલ છે.
US-Iran War Ceasefire: ભારત પર થયેલી ૬ મોટી વિપરીત અસરો

૧. મોંઘું ક્રૂડ ઓઇલ: ક્રૂડ ઓઇલના ભાવ ૭૨ ડોલરથી વધીને ૧૨૦ ડોલર પ્રતિ બેરલ થઈ જતાં ભારતનું ઇમ્પોર્ટ બિલ ૧૫.૨૨% વધી ગયું. પરિણામે સ્થાનિક સ્તરે પેટ્રોલ-ડીઝલમાં ₹૭.૫ અને ઘરેલું ગેસ સિલિન્ડરમાં ₹૮૯નો તોતિંગ વધારો ઝીંકાયો. ૨. રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ: ભારતનો ફોરેન એક્સચેન્જ રિઝર્વ ૭.૨૮ લાખ ડોલરથી ઘટીને ૬.૮૨ લાખ ડોલર થઈ ગયો. ફેબ્રુઆરીમાં ડૉલર સામે ૯૦ પર રહેલો રૂપિયો મે મહિનામાં ૯૬.૮ના ઓલ-ટાઇમ લો સ્તર પર પહોંચી ગયો હતો. ૩. જીડીપી (GDP)ની ધીમી ગતિ: વર્ષ ૨૦૨૫માં ભારતનો જીડીપી ગ્રોથ ૭% હતો, જે આ વૈશ્વિક કટોકટીના કારણે ૨૦૨૬માં ઘટીને ૬.૬% રહેવાનો અંદાજ છે. ૪. મોંઘવારીનો માર: ભારતમાં જથ્થાબંધ મોંઘવારી દર ફેબ્રુઆરીના ૨.૨৮%થી કૂદકો મારીને મે મહિનામાં ૯.૬૮% પર પહોંચી ગયો છે, જે છેલ્લા ૪૩ મહિનામાં સૌથી વધુ છે. છૂટક મોંઘવારી પણ વધીને ૩.૯૩% થઈ છે. ૫. ખાતર ઉત્પાદનમાં ૪૦%નો ઘટાડો: ભારત ખાડી દેશોમાંથી ૪૦% યુરિયા અને ૬૦% એલએનજી (LNG) આયાત કરે છે. સપ્લાય ખોરવાતા માર્ચમાં ઘરેલું યુરિયાનું ઉત્પાદન ૨.૫ મિલિયન ટનથી ઘટીને ૧.૫ મિલિયન ટન થઈ ગયું હતું. ૬. રાજદ્વારી નુકસાન અને ભારતીયોના મોત: આ આખી શાંતિ પ્રક્રિયામાં પાકિસ્તાન, કતાર અને ઓમાન જેવા દેશો મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યા, જ્યારે ભારતની કોઈ ભૂમિકા નહોતી. વધુમાં, ઓમાનના અખાતમાં ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા ૩ જહાજો પર થયેલા અમેરિકી હુમલામાં ૩ ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા હતા.
વધુ સમાચાર વાંચવા વાંચવા માટે અંહી ક્લિક કરો: પારડીમાં મધરાતે ધમધમતા જુગારધામ પર પોલીસનો દરોડો ૩ જુગારીઓ ₹૧.૫૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા, ૩ ફરાર




