Rajkot Mokaaji Circle Murder Case: રાજકોટના મોકાજી સર્કલ નજીક થયેલી ચકચારી હત્યાના કેસમાં તપાસ કરી રહેલી પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. મુખ્ય આરોપી રણજીત વાળાની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે, પોલીસે વિરમગામના કુખ્યાત હથિયાર સપ્લાયર શિવરાજ ધાંધલની ધરપકડ કરી છે. આ ધરપકડ સાથે જ કેસમાં ગેરકાયદે હથિયારોના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે.
Rajkot Mokaaji Circle Murder Case: હત્યાનું હથિયાર અને નેટવર્કનો પર્દાફાશ
રાજકોટ શહેર એસીપી (ક્રાઈમ) ભરત બસિયાએ આપેલી માહિતી મુજબ, મુખ્ય આરોપી રણજીત વાળાના રિમાન્ડ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે હત્યામાં વપરાયેલી બંદૂક સહિત અન્ય હથિયારો તેણે વિરમગામમાં રહેતા શિવરાજ નાજભાઈ ધાંધલ પાસેથી ખરીદ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તુરંત કાર્યવાહી કરી વિરમગામ પહોંચીને 42 વર્ષીય શિવરાજ ધાંધલને દબોચી લીધો હતો.
તપાસ દરમિયાન પોલીસને શિવરાજની વાડીમાંથી વધુ એક દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી. આરોપી શિવરાજ સામે અગાઉ પણ મારામારી અને સરકારી ફરજમાં અડચણ ઊભી કરવા તેમજ જેતપુરમાં પ્રોહિબિશનના કેસ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. હવે વિરમગામ પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Rajkot Mokaaji Circle Murder Case: શું હતો સમગ્ર મામલો?

તા. 8 જુલાઈ 2026ના રોજ રાજકોટના મોકાજી સર્કલ પાસે વાહન ધીમું ચલાવવા જેવી સામાન્ય બાબતે રણજીત વાળા અને તેના પુત્રોએ કૃષ્ણસિંહ જાડેજા તથા રહેન્દ્રસિંહ જાડેજા સાથે ઉગ્ર બોલાચાલી અને મારામારી કરી હતી. આ દરમિયાન રણજીતના પુત્રએ ઉશ્કેરણીજનક નિવેદન આપતા મુખ્ય આરોપી રણજીત વાળાએ પોતાની ગેરકાયદે બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં કૃષ્ણસિંહ જાડેજાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે રહેન્દ્રસિંહ જાડેજા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
Rajkot Mokaaji Circle Murder Case: કેસની ગંભીરતા: સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક
આ હત્યા કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે તાત્કાલિક પગલાં ભરતા 17 જુલાઈના રોજ અનિલ દેસાઈની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરી છે, જેથી આરોપીઓને કડક સજા મળી શકે. હાલ પોલીસ આ હથિયારના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ કરી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: 72મા નેશનલ ફિલ્મ અવોર્ડ્સની જાહેરાત, ગુજરાતી ફિલ્મ ‘મારણ’નું નામ ગુંજ્યું, યામી ગૌતમ અને કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર




