Political Storm In Narmada: નર્મદા જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ હવે સપાટી પર આવી ગયો છે. રાજપીપળા ખાતે યોજાયેલા વડાપ્રધાનના સુશાસનના વર્ષોની ઉજવણીના સત્તાવાર કાર્યક્રમમાં પ્રોટોકોલ ભંગ અને અપમાનનો આક્ષેપ લગાવી નાંદોદના મહિલા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે સ્ટેજ પરથી જ વોકઆઉટ કર્યો હતો. આટલું જ નહીં, તેઓ કાર્યક્રમ છોડીને સીધા રાજપીપળાના ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી ગયા છે અને સંગઠન તેમજ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દેવાની આકરી ચીમકી ઉચ્ચારી છે. આ ઘટનાથી દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
Political Storm In Narmada: શું છે સમગ્ર ઘટના?
રાજપીપળાના આંબેડકર હોલ ખાતે વડાપ્રધાનના સુશાસનની ઉજવણી અને પ્રબુદ્ધ નાગરિકોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હાઈપ્રોફાઈલ કાર્યક્રમમાં રાજ્યના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વનમંત્રી ગણપત વસાવા સહિતના દિગ્ગજ નેતાઓ મંચ પર હાજર હતા.
કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે આક્ષેપ કર્યો હતો કે, “સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં મંચ પર મારા પદના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું નથી અને યોગ્ય સ્વાગત પણ કરાયું નથી.” જાહેરમાં અપમાન થયાની લાગણી અનુભવતા જ તેઓ કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
Political Storm In Narmada: “ગાંધીનગરના મંત્રીના પીઠબળથી ચાલે છે મનમાની” : ધારાસભ્યના ગંભીર આક્ષેપો

ગાંધી ચોક ખાતે ધરણા પર બેઠેલા ધારાસભ્ય દર્શનાબેને જિલ્લા ભાજપ સંગઠન સામે ગંભીર આક્ષેપોની ઝડી વર્ષાવી હતી:
- છેલ્લા બે વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે.
- સંગઠનમાં મનગમતા લોકોને જ ટિકિટ આપવાની અને મનમાની કરવાની વૃત્તિને કારણે પક્ષે ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.
- ગાંધીનગરના એક પ્રભાવશાળી મંત્રીનું જિલ્લા પ્રમુખને પીઠબળ હોવાથી તેઓ સ્થાનિક નેતાઓની પરવા કર્યા વગર મનસ્વી નિર્ણયો લઈ રહ્યા છે.
Political Storm In Narmada: સાંસદ મનસુખ વસાવાનું ખુલ્લું સમર્થન: “જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લો”

નર્મદા જિલ્લાના આ રાજકીય ભૂકંપમાં ભરૂચના સીનિયર સાંસદ મનસુખ વસાવા પણ કૂદી પડ્યા છે અને તેમણે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે.
મનસુખ વસાવાનો આક્રોશ: “આ માત્ર એક ધારાસભ્યનું અપમાન નથી, પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. આવા સંજોગોમાં પક્ષે તાત્કાલિક જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવનું રાજીનામું લઈ લેવું જોઈએ.”
Political Storm In Narmada: “મારા હાથ ખેંચવાની તાકાત કોઈનામાં નથી”
ચૂંટણી દરમિયાન જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ પર હાથ ઉઠાવ્યો હોવાની ચર્ચા અંગે પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા મનસુખ વસાવા ભારે આકરા મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “એ શું મારા પર હાથ ઉઠાવે? એનામાં એટલી તાકાત નથી. જો મારા પર હાથ ઉઠાવશે તો હું તેના હાથ ખેંચી નાખીશ!”
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ચોમાસું રુંધાયું! સેટેલાઇટ તસવીરોમાં વાદળો ગાયબ: ગુજરાત, MP અને રાજસ્થાન સહિત 16 રાજ્યોમાં વરસાદની રાહ લંબાઈ




