Massive Rush on Nagpanchami: વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર પરિસરમાં સોમવારે નાગચંદ્રેશ્વર મંદિર પાસે અચાનક નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પરિસરમાં કરંટ ફેલાયાની અફવા ફેલાતા જ શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ભારે ભીડ વચ્ચે લોકો આમતેમ ભાગવા લાગ્યા હતા અને ધક્કામુક્કીના કારણે અફરાતફરી મચી ગઈ હતી.
આ બનાવના સામે આવેલા વીડિયોમાં મહાકાલ પરિસર શ્રદ્ધાળુઓની ભારે ભીડથી સંપૂર્ણપણે ખીચોખીચ ભરેલું નજરે પડી રહ્યું છે. અફવા બાદ સર્જાયેલી નાસભાગમાં ઘણા શ્રદ્ધાળુઓ ભીડના દબાણ નીચે દબાઈને પડી ગયા હતા. ભીડનું દબાણ વધવાથી આશરે 13 જેટલા શ્રદ્ધાળુઓની તબિયત લથડી હતી. તુરંત જ પરિવારજનો અને સુરક્ષાકર્મીઓની મદદથી તેમને ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તમામની તબિયત સ્થિર છે અને ડોક્ટરોની ટીમ તેમની વિશેષ દેખરેખ રાખી રહી છે.

ઘટનાની જાણ થતાં જ સ્થળ પર હાજર પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓએ તાત્કાલિક પરિસ્થિતિનો તાબે મેળવીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. શ્રાવણ માસ અને નાગપંચમીના પાવન અવસર પર મંદિરમાં અત્યંત મોટો પ્રવાહ ઉમટ્યો છે, તેવી સ્થિતિમાં નાની અફવા પણ મોટું જોખમ બની શકે છે. પોલીસ પ્રશાસનના જણાવ્યા મુજબ, હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે.

Massive Rush on Nagpanchami: શ્રાવણનો ત્રીજો સોમવાર અને નાગપંચમીનો સંયોગ

ઉલ્લેખનીય છે કે, ભગવાન નાગચંદ્રેશ્વરનું આ પૌરાણિક મંદિર મહાકાલ મંદિરના ત્રીજા માળે આવેલું છે. આ મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર એટલે કે નાગપંચમીના દિવસે જ શ્રદ્ધાળુઓ માટે ખુલે છે, બાકીના આખા વર્ષ દરમિયાન અહીં દર્શન કરવા પર પ્રતિબંધ રહે છે.

આ જ કારણસર નાગપંચમીના પર્વ પર દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉજ્જૈન પહોંચે છે. આ વખતે નાગપંચમી અને શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર એક જ દિવસે મનાવવામાં આવી રહ્યો હોવાથી મંદિરમાં અણધારી ભીડ જોવા મળી હતી. અત્યાર સુધીમાં અંદાજે 5.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નાગચંદ્રેશ્વરજીના દર્શનનો લાભ લઈ ચૂક્યા છે. પ્રશાસન દ્વારા ભક્તોને શાંતિપૂર્વક અને વ્યવસ્થિત રીતે દર્શન કરવા અપીલ કરવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:બિહારમાં લખીસરાયના અશોક ધામ મંદિરમાં નાસભાગ: 7 મહિલાઓનાં મોત, 23 ઘાયલ; કરંટની અફવાથી ભીડ બેકાબૂ

