I Am Consuming Poison: ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો સામે રાજ્યવ્યાપી કડક ઝુંબેશ ચલાવવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર વગાડી રહી છે. જૂનાગઢના માણાવદર પંથકમાંથી વ્યાજખોરીના દૂષણનો એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસ અને પઠાણી ઉઘરાણીથી કંટાળીને એક ૩૦ વર્ષીય આશાસ્પદ યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. યુવકે મરતા પહેલા બનાવેલો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
I Am Consuming Poison: ₹૫ લાખના બદલામાં કિંમતી જમીન પડાવી લીધી

નાનડીયા ગામે રહેતા ખેતીકામ કરતા ૩૦ વર્ષીય યુવાન ગુંજન ઉર્ફે મેરકાને ખેતીના કામકાજ માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. આ માટે તેણે બાંટવા ગામના કરશન રબારી અને ગગાભાઇ ઉર્ફે રાજુ રબારી પાસેથી ₹૫ લાખ વ્યાજે લીધા હતા. ગુંજને વ્યાજ નિયમિત ચૂકવ્યું હોવા છતાં બંને વ્યાજખોરોની દાનત બગડી હતી. તેમણે પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી, ગત ૨૧મી તારીખે લાખો રૂપિયાની કિંમતી ખેતીની જમીનનો દસ્તાવેજ બળજબરીપૂર્વક પોતાના નામે કરાવી લીધો હતો.
I Am Consuming Poison: ચેક રિટર્નનો કેસ અને વોટ્સએપ પર ગંદી ગાળો
ગુંજન વ્યાજના આ માયાવી ચક્રવ્યૂહમાં એવો ફસાયો હતો કે વ્યાજખોરો તેને ચોતરફથી હેરાન કરી રહ્યા હતા:
- વિરેન્દ્ર જમનાદાસ વિરોજા: ૨૦% ના ઊંચા વ્યાજદરે નાણાં આપી, વ્યાજ વસૂલ્યા પછી પણ ગુંજનને ફસાવવા કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ઠોકી દીધો.
- પ્રવિણ નામનો શખ્સ: ₹૬ લાખનું વ્યાજ વસૂલ્યા પછી પણ વધુ પૈસા પડાવવા માટે ગુંજનના મોબાઈલ પર વોટ્સએપ મેસેજ કરી ગંદી ગાળો આપી માનસિક ત્રાસ આપતો હતો.
આ અસહ્ય માનસિક ત્રાસ અને આબરૂ જવાના ડરથી ભાંગી પડેલા ગુંજને ૩ દિવસ પહેલા પોતાની વાડીએ જઈને ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
મૃતક યુવકની અંતિમ આપવીતી (વીડિયોના શબ્દો): “હું દવા પીવું છું, બાંટવાવાળા કરસનભાઈ અને ગગાએ ખાલી પાંચ લાખ રૂપિયા મને વ્યાજે આપી મારી જમીનનો દસ્તાવેજ કરી લીધેલો છે. તેણે મારી જમીન વેચાતી નથી લીધી, ખાલી પાંચ લાખ વ્યાજે આપ્યા હતા. એમાં મારી જમીનનો દસ્તાવેજ ગઈ ૨૧ તારીખે કરી લીધો છે…”
I Am Consuming Poison: પોલીસે ૪ વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ વીડિયો સામે આવ્યા બાદ મૃતકના પિતા ગોરધનભાઇની ફરિયાદના આધારે માણાવદર પોલીસે ચારેય આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૮ (આત્મહત્યા માટે મજબૂર કરવી), ૩૦૮(૪) (ખંડણી), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદના એસપી બી.સી. ઠક્કરે જણાવ્યું છે કે મૃતક યુવાનના વીડિયોની ટેકનિકલ તપાસ ચાલી રહી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રાજકોટ ફરી લોહીયાળ બન્યું, રૈયા રોડ પર પતિએ હથોડીના ઘા ઝીંકી પત્નીની કરપીણ હત્યા કરી, 4 દિવસમાં બીજી ઘટનાથી ચકચાર




