Heartbreaking Reunion: માઉન્ટ એવરેસ્ટની બર્ફીલી ઊંચાઈઓ પર છેલ્લા ત્રણ દાયકાથી રહસ્યમય રીતે જામી ગયેલા અને ‘ગ્રીન બૂટ્સ’ તરીકે વિશ્વભરમાં ઓળખાતા મૃતદેહની ઓળખ આખરે સ્પષ્ટ થઈ છે. લાંબા સમય સુધી આ મૃતદેહ અન્ય જવાનનો હોવાની આશંકા હતી, પરંતુ તાજેતરના DNA ટેસ્ટથી પુષ્ટિ થઈ છે કે આ પાર્થિવ દેહ લદ્દાખના લાન્સ નાયક દોરજે મોરુપનો છે. 30 વર્ષની લાંબી રાહ જોયા બાદ, હવે ઓક્ટોબર 2026 સુધીમાં તેમનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવશે.

Heartbreaking Reunion: 1996ની તે કાળરાત્રિ અને ‘ગ્રીન બૂટ્સ’નો ઇતિહાસ
વર્ષ 1996માં તિબેટના ઉત્તરીય માર્ગથી એવરેસ્ટ સર કરવા નીકળેલી ભારતની પ્રથમ ત્રણ સભ્યોની ટીમમાં દોરજે મોરુપ પણ સામેલ હતા. 10 મે 1996ના રોજ, શિખરની નજીક પહોંચતા જ આ ટીમ ભયાનક બર્ફીલા તોફાનમાં ફસાઈ ગઈ હતી. તે સિઝનમાં કુલ 12 પર્વતારોહકોએ જીવ ગુમાવ્યો હતો, જેને ‘1996 માઉન્ટ એવરેસ્ટ ડિઝાસ્ટર’ તરીકે ઓળખવામાં આવે છે.
દોરજે મોરુપનો મૃતદેહ 26,247 ફૂટની ઊંચાઈ પર એક નાની ગુફામાં જામી ગયો હતો. તેમના પગમાં રહેલા લીલા રંગના બૂટને કારણે પર્વતારોહકો તેને ‘ગ્રીન બૂટ્સ’ નામથી ઓળખતા હતા. આ મૃતદેહ એવરેસ્ટ પર જનારા પર્વતારોહકો માટે વર્ષો સુધી એક કરુણ ‘લેન્ડમાર્ક’ બની રહ્યો હતો.
Heartbreaking Reunion: 75 વર્ષીય પત્નીની હૃદયદ્રાવક અંતિમ ઈચ્છા
દોરજે મોરુપના સમાચાર મળતા જ તેમના પરિવારમાં આશા અને વેદનાની લાગણી પ્રસરી ગઈ છે. તેમના 75 વર્ષીય પત્ની કોનચોક યાંગસ્કિટ જેઓ હાલમાં પતિના પેન્શન પર ગુજરાન ચલાવે છે, તેમણે પોતાના પુત્ર ફુંતસોગ દોરજેને કાગળ પર લખીને પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી છે: “તેમને જોઈને જ છેલ્લો શ્વાસ લઈશ.” છેલ્લા 30 વર્ષથી આંસુઓમાં વિતાવેલી જિંદગી બાદ, હવે તેમને આશા છે કે તેઓ અંતિમ વખત પોતાના પતિના દર્શન કરી શકશે.
Heartbreaking Reunion: મૃતદેહ પાછો લાવવો કેમ હતો મુશ્કેલ?
માઉન્ટ એવરેસ્ટ પર જે જગ્યાએ દોરજેનો મૃતદેહ હતો, તે વિસ્તાર ‘ડેથ ઝોન’ (26,000 ફૂટથી વધુ) તરીકે ઓળખાય છે. અહીં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને હેલિકોપ્ટર પહોંચવું અશક્ય છે. આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે એવરેસ્ટ પર મૃત્યુ પામેલા 340થી વધુ પર્વતારોહકોના મૃતદેહો આજે પણ ત્યાં જ છે. જોકે, હવે ટેકનોલોજી અને વિશેષ અભિયાનની મદદથી આ અશક્ય લાગતું મિશન પૂર્ણ થવા જઈ રહ્યું છે.
આ ઘટના માત્ર એક જવાનની પરત વાપસી નથી, પરંતુ એક વીર પર્વતારોહકના પરિવાર માટે તેમના અપાર પ્રેમ અને સંઘર્ષની જીત છે. ઓક્ટોબરમાં જ્યારે દોરજે મોરુપનો પાર્થિવ દેહ લદ્દાખ પહોંચશે, ત્યારે તે સમગ્ર દેશ માટે એક ભાવુક ક્ષણ બની રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




