Betrayal of Trust: વિશ્વાસઘાત અને છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. છોટાઉદેપુરના સંખેડામાં રહેતા એક વ્યક્તિની આર્ટિગા કાર તેના જ પરિચિતે બારોબાર વેચી મારી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Betrayal of Trust: શું છે સમગ્ર ઘટના?
સંખેડામાં ફ્રૂટની લારી ચલાવી ગુજરાન કરતા વસીમખાન પઠાણે વર્ષ 2024માં બેંક લોન પર આર્ટિગા કાર ખરીદી હતી. આ કારનો માસિક હપ્તો રૂ. 18,700 હતો. ધંધામાં પૂરતી આવક ન થતા હપ્તા ભરવામાં મુશ્કેલી પડતી હતી. આથી વસીમખાને પોતાની કાર વડોદરાના તરસાલીમાં રહેતા તેમના પરિચિત રસુલશા નાજરશા દિવાનને દર મહિને રૂ. 36,000 ના ભાડે આપી હતી. ભરોસો કરીને તેમણે કારની સાથે તેના ઓરિજનલ દસ્તાવેજો પણ સોંપ્યા હતા.
Betrayal of Trust: ભાડું આપવાનું બંધ કરી કાર વેચી મારી
શરૂઆતના બે મહિના રસુલશાએ નિયમિત ભાડું ચૂકવ્યું હતું, પરંતુ ત્યારબાદ ભાડું આપવાનું બંધ કરી દીધું હતું. વસીમખાને જ્યારે કાર પરત માંગી ત્યારે રસુલશાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે આ કાર તેણે બોડેલીના હિમાંશુ ઉર્ફે સની અગ્રવાલને રૂ. 7.50 લાખમાં વેચી નાખી છે.
Betrayal of Trust: પોલીસ કાર્યવાહી
પોતાની કાર બારોબાર વેચાઈ ગઈ હોવાનું જાણી વસીમખાને કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે:
- રસુલશા નાજરશા દિવાન (તરસાલી, વડોદરા)
- હિમાંશુ ઉર્ફે સની અગ્રવાલ (બોડેલી)
સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ વાહન માલિકો માટે લાલબત્તી સમાન કિસ્સો પૂરો પાડ્યો છે કે કોઈ પણ પરિચિતને ઓરિજનલ દસ્તાવેજો સાથે વાહન સોંપતા પહેલા વિચારવું જોઈએ.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




