Ahmedabad Under Water: ચોમાસાના પ્રથમ જ વરસાદે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરમાં માત્ર ૪૦ મિનિટના ટૂંકા ગાળામાં ૪ ઈંચ જેટલો મૂશળધાર વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે. સવારના વ્યસ્ત સમયે નોકરી-ધંધે અને ઓફિસ જવા નીકળેલા નાગરિકો રસ્તાઓમાં ભારે ટ્રાફિક અને પાણી ભરાવાને કારણે અટવાયા હતા.
Ahmedabad Under Water: શહેર માં કયા કયા પાણી ભરાયા
શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસ.જી. હાઈવે, સિંધુભવન રોડ, બોપલ, ચાંદખેડા, ગોતા, થલતેજ, બોડકદેવ, સરખેજ અને મકરબા સહિતના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. હરણ સર્કલ પાસે પણ અડધા ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે, જેના કારણે વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. અનેક અંડરબ્રિજો બંધ થઈ જવાથી ચારેય બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ભારે પાણી ભરાયા હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે કોર્પોરેશન તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ રોડ પરથી ગાયબ જોવા મળ્યા છે, જેના કારણે શહેરીજનોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે.
Ahmedabad Under Water: એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

આ વિકટ પરિસ્થિતિ વચ્ચે થલતેજ મેટ્રો સ્ટેશન નીચેથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી તરફ, સાબરમતી નદીની જળસપાટી નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, જ્યાંથી ૨૯,૪૬૧ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને હાલ ૨૯,૨૦૦ ક્યુસેક પાણી સતત છોડવાનું ચાલુ છે.
Ahmedabad Under Water: ૧૫ જેટલા મહત્વના રોડ પરથી હાલ નાગરિકોને ન પસાર થવા અપીલ
નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વરસાદી પાણી ભરાવવાના કારણે ૧૫ જેટલા મહત્વના રોડ પરથી હાલ નાગરિકોને ન પસાર થવા અને આ માર્ગોનો બને તેટલો ખૂબ જ ઓછો ઉપયોગ કરવા માટે કડક અપીલ કરવામાં આવી છે. જો આગામી સમયમાં વરસાદનું જોર યથાવત રહેશે, તો અમદાવાદ શહેરની મુશ્કેલીઓમાં વધુ વધારો થઈ શકે છે.





