Agent Exceeded Authority: ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિના મૃત્યુ સાથે જ તે દસ્તાવેજ કાયદાકીય રીતે આપોઆપ રદ થઈ જાય છે. હાઇકોર્ટે એક કિસ્સામાં સત્તાની મર્યાદા બહાર જઈને કરવામાં આવેલા રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડને શૂન્ય અને રદબાતલ જાહેર કરી અરજદારને મોટી રાહત આપી છે.
Agent Exceeded Authority: શું હતો સમગ્ર મામલો?
લંડનમાં રહેતા એક અરજદારે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં તેમની પત્ની સાથે મળીને પ્રોપર્ટી ખરીદી હતી. ભારતમાં મિલકતના વહીવટ માટે તેમણે એક ઓળખીતા વ્યક્તિને જનરલ પાવર ઓફ એટર્ની આપી હતી. વર્ષ 2010માં લંડનમાં અરજદારના પત્નીનું અવસાન થયું હતું. પત્નીના અવસાનના એક વર્ષ બાદ, વર્ષ 2011માં પાવર ઓફ એટર્ની હોલ્ડરે આ પ્રોપર્ટી પોતાના જ પુત્ર અને પુત્રવધૂના નામે રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડ દ્વારા ટ્રાન્સફર કરી દીધી હતી.
Agent Exceeded Authority: કોર્ટમાં થયેલી રજૂઆતો
અરજદારે સિવિલ કોર્ટમાં ગિફ્ટ ડીડ રદ કરવા માટે દાવો કર્યો હતો, પરંતુ 2019માં સિવિલ કોર્ટે આ દાવો ફગાવી દીધો હતો. ત્યારબાદ અરજદારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
- અરજદારની રજૂઆત: પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ (પત્ની)ના અવસાન સાથે જ દસ્તાવેજની કાયદેસરતા સમાપ્ત થઈ જાય છે. ઉપરાંત, પાવર ઓફ એટર્નીમાં મિલકત ગિફ્ટમાં આપવાની કોઈ સત્તા આપવામાં આવી નહોતી.
- પ્રતિવાદીની રજૂઆત: પાવર ઓફ એટર્ની હોલ્ડરે દાવો કર્યો હતો કે નાણાકીય વ્યવહારો અને લોનની પતાવટ માટે અરજદારની સૂચનાથી જ ગિફ્ટ ડીડ કરવામાં આવ્યું હતું અને તેમને મૃત્યુની જાણ નહોતી.
Agent Exceeded Authority: હાઇકોર્ટનું તારણ
ગુજરાત હાઇકોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાને લેતા નોંધ્યું હતું કે:
- ઇન્ડિયન કોન્ટ્રેક્ટ એક્ટની કલમ 201: આ કાયદા મુજબ, પાવર આપનાર વ્યક્તિનું અવસાન થતાં જ પાવર ઓફ એટર્ની આપોઆપ રદ થઈ જાય છે અને ત્યારબાદ એજન્ટ કોઈ પણ કામ કરી શકે નહીં.
- સત્તાનો દુરુપયોગ: પાવર ઓફ એટર્નીના દસ્તાવેજમાં મિલકત ગિફ્ટ તરીકે આપવાની કોઈ સત્તા જ નહોતી, આમ હોવા છતાં પ્રતિવાદીએ પોતાની સત્તાની મર્યાદા બહાર જઈને ગેરકાયદેસર કૃત્ય કર્યું છે.
Agent Exceeded Authority: ચુકાદો
હાઇકોર્ટે વડોદરા સિવિલ કોર્ટના અગાઉના ચુકાદાને રદબાતલ ઠેરવ્યો હતો અને જણાવ્યું હતું કે નાણાકીય લેવડદેવડની ધારણાઓ પર આધારિત અગાઉનો ચુકાદો ભૂલભરેલો હતો. અંતે, હાઇકોર્ટે વર્ષ 2011માં કરવામાં આવેલા રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડને કાયદાની દ્રષ્ટિએ શૂન્ય અને રદબાતલ જાહેર કરી અરજદારની અપીલ મંજૂર કરી છે.
આ ચુકાદો એવા તમામ લોકો માટે એક મોટી ચેતવણી અને રાહત સમાન છે જેઓ આવી રીતે પાવર ઓફ એટર્નીના દુરુપયોગનો ભોગ બને છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




