Gujarat Weather Alert:ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી ૬ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે, જેને લઈને તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
Gujarat Weather Alert:હવામાન વિભાગની ચેતવણી અને એલર્ટ
- ૩૦ જુલાઈ (આજે): સુરત સહિત ૭ જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
- ૩૧ જુલાઈ (કાલે): અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ સહિત ૮ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવા આવ્યું છે.
- ૧ ઓગસ્ટ: ઉત્તર ગુજરાતમાં મુસળધાર વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જારી કરાઈ છે.
- આગામી ૩ કલાક: પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને દાહોદ જિલ્લામાં ૪૦ કિમીની ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.
Gujarat Weather Alert: સક્રિય થયેલી 4 મુખ્ય વરસાદી સિસ્ટમ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં નીચે મુજબની ચાર સિસ્ટમ એકસાથે સક્રિય છે:
- ડીપ ડિપ્રેશન
- મોનસૂન ટ્રફ
- અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
Gujarat Weather Alert: છેલ્લા 24 કલાકની વરસાદી સ્થિતિ

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૫૦ જેટલા તાલુકાઓમાં ૧ મિમીથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે:
- સંજેલી (દાહોદ): ૧.૩૮ ઇંચ
- સિંગવડ (દાહોદ): ૧.૦૬ ઇંચ
- લુણાવાડા (મહીસાગર): ૧ ઇંચ
ઉપરાંત, ધોલેરા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન અને બેઠક

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠક યોજાઈ હતી.
- સુરક્ષા અને બચાવ કામગીરી: પૂરની સ્થિતિ સર્જાય તે પહેલાં જ દક્ષિણ ગુજરાતમાંથી ૫૩,૬00થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા ૯,૬00થી વધુ લોકોનો બચાવ કરાયો છે.
- તંત્રને આદેશ: તમામ કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગને જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સ હટાવવા તેમજ કાચા મકાનોમાં રહેતા નીચલા સ્તરના લોકો સુધી સમયસર ચેતવણી પહોંચાડવા સૂચના અપાઈ છે.
નાગરિકો માટે તંત્રની મહત્વની એડવાઈઝરી
ખાસ નોંધ: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને ટ્રાફિકજામની પૂરેપૂરી શક્યતા છે. આથી નાગરિકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી અને વરસાદ તથા વાવાઝોડા વખતે જર્જરિત મકાનો કે ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળવું.




