Crime Spree in Rajkot: રાજકોટ ફરી લોહીયાળ બન્યું, રૈયા રોડ પર પતિએ હથોડીના ઘા ઝીંકી પત્નીની કરપીણ હત્યા કરી, 4 દિવસમાં બીજી ઘટનાથી ચકચાર

0
129
Crime Spree in Rajkot
Crime Spree in Rajkot

Crime Spree in Rajkot: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થાય તેવી વધુ એક લોહીયાળ ઘટના સામે આવી છે. રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં એક પતિએ કૌટુંબિક ઝઘડામાં ઉશ્કેરાઈને પોતાની જ પત્નીને માથામાં હથોડીના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં માત્ર ચાર જ દિવસમાં હત્યાનો આ બીજો બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

Crime Spree in Rajkot

Crime Spree in Rajkot: ફ્લેટ નંબર 102માં ખેલાયો ખૂની ખેલ

મળતી માહિતી મુજબ, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ આવેલી શિવાલિક બિલ્ડિંગના પહેલા માળે ફ્લેટ નંબર 102માં અલ્તાફભાઈ લાલાણી પોતાના પરિવાર સાથે રહે છે. આજે (29 મે) સવારના સમયે અલ્તાફભાઈને તેમની 40 વર્ષીય પત્ની શિલ્પાબેન સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આવેશમાં આવી ગયેલા પતિ અલ્તાફભાઈએ ઘરમાં રહેલી હથોડી વડે શિલ્પાબેનના માથાના ભાગે ઘાતકી પ્રહારો કરી દીધા હતા.

Crime Spree in Rajkot

Crime Spree in Rajkot: હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો

લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા શિલ્પાબેનને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્યાં હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાકીદે આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો.

Crime Spree in Rajkot

Crime Spree in Rajkot: ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે, આરોપીને પકડવા ચક્રો ગતિમાન

ચાર દિવસમાં જ બીજી હત્યાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. DCP ઝોન-2 રાકેશ દેસાઈ, ઇન્ચાર્જ ACP (પશ્ચિમ વિભાગ) આર.એસ. બારીઆ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો ઉચ્ચ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપી પતિ અલ્તાફ લાલાણીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.

Crime Spree in Rajkot: ૪ દિવસ પહેલા જ પૌત્રએ દાદાને મોતને ઘાટ ઉતાર્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૨૫ મેના રોજ યુનિવર્સિટી પોલીસ મથકની હદમાં જ આવેલા શાસ્ત્રીનગર વિસ્તારમાં પણ આવી જ એક કૌટુંબિક હત્યાની ઘટના બની હતી. જેમાં નરાધમ પૌત્ર મોહિત મિયાત્રાએ પોતાના જ સગા દાદા અરજણભાઈ મિયાત્રાને માથામાં બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી દીધી હતી. આ કેસમાં પોલીસે આરોપી પૌત્રને જેલહવાલે કરી દીધો છે, ત્યાં જ આજે વધુ એક પારિવારિક હત્યાનો ગુનો પ્રકાશમાં આવતાં રાજકોટવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

રાજકોટની સોની બજારમાં બોમ્બ બ્લાસ્ટ જેવા ધડાકા AC કમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ બાદ 2 ગેસ સિલિન્ડર ફાટ્યા, 1 KM દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા