US-Iran War Ends:દાયકાઓથી ચાલી રહેલા તણાવ અને તાજેતરના સંઘર્ષ બાદ વિશ્વ માટે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે સંમતિ સધાઈ છે. આગામી શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડના જિનીવા ખાતે આ ઐતિહાસિક શાંતિ કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવશે.
US-Iran War Ends:ટ્રમ્પનું એલાન: “તેલને વહેવા દો”

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ કરારની પુષ્ટિ કરતા વિશ્વભરના શિપિંગ ઉદ્યોગને સંદેશ આપ્યો છે. ટ્રમ્પે લખ્યું, “દુનિયાના જહાજો, તમારા એન્જિન ચાલુ કરી લો. તેલને વહેવા દો.” આ સાથે જ તેમણે ઈરાની બંદરો પરથી અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવાનો આદેશ પણ આપી દીધો છે.

US-Iran War Ends:કરારની મુખ્ય વિગતો અને શરતો
ઈરાની મીડિયા અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમજૂતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
- સૈન્ય કાર્યવાહી પર રોક: તમામ મોરચે તાત્કાલિક અસરથી યુદ્ધ વિરામ.
- હોર્મુઝ સ્ટ્રેટ: આંતરરાષ્ટ્રીય વેપાર માટે વ્યૂહાત્મક ગણાતી હોર્મુઝની સામુદ્રધુની ફરી ખોલવામાં આવશે.
- ફ્રીઝ કરાયેલું ફંડ: અમેરિકા ઈરાનના જપ્ત કરેલા ભંડોળને મુક્ત કરશે.
- 60 દિવસનો રોડમેપ: પરમાણુ કાર્યક્રમ અને આર્થિક પ્રતિબંધો અંગે આગામી બે મહિનામાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
ઈરાનની સ્પષ્ટતા: ઈરાનના ઉપ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ જણાવ્યું છે કે અમેરિકાએ સૌથી પહેલા નાકાબંધી હટાવવી પડશે અને સૈન્ય કાર્યવાહી સંપૂર્ણપણે બંધ કરવી પડશે, તો જ આગળની વાટાઘાટો સફળ થશે.
US-Iran War Ends:પાકિસ્તાનના PMએ કરી જાહેરાત
આ શાંતિ કરારની સૌથી પહેલી જાહેરાત પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કરી હતી. તેમણે જણાવ્યું કે 19 જૂને જિનીવામાં બંને દેશો વચ્ચે 47 વર્ષમાં પ્રથમ વખત ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે અને વિધિવત હસ્તાક્ષર થશે.
ઇઝરાયેલના હુમલાથી સર્જાયો હતો અવરોધ
ટ્રમ્પે બેરૂત (લેબનાન) પર થયેલા ઇઝરાયેલી હુમલાની ટીકા કરતા કહ્યું કે, આ હુમલાને કારણે પીસ ડીલ પર હસ્તાક્ષર કરવામાં થોડા કલાકોનો વિલંબ થયો હતો. ટ્રમ્પના મતે, જ્યારે શાંતિ આટલી નજીક હોય ત્યારે આવા હુમલા અયોગ્ય છે.
ઈરાનમાં આંતરિક વિરોધ
એક તરફ શાંતિની આશા છે, તો બીજી તરફ ઈરાનમાં આ ડીલનો વિરોધ પણ શરૂ થયો છે. ત્યાંના કટ્ટરપંથી જૂથોનું માનવું છે કે અમેરિકા સામે નમતું જોખવું એ ઈરાનના હિતમાં નથી અને તેનાથી દેશની પકડ નબળી પડશે.
ભારત માટે રાહત:
દરિયાઈ માર્ગો સુરક્ષિત થતા ભારત જેવા દેશો માટે તેલની આયાત સરળ બનશે. વધુમાં, ઓમાનના દરિયાકાંઠે ફસાયેલા ભારતીય જહાજ MSV વિરાટ-1 ના તમામ 14 ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે, જે ભારત માટે મોટા સમાચાર છે.




