Tragedy On Dholera Expressway: અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર એક અત્યંત કમકમાટીભર્યો અને દર્દનાક અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ હાઈવે પર જ પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ૧ વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ૧૫થી વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

Tragedy On Dholera Expressway: ગોતામાં સીમંત પ્રસંગ પતાવી ખુશી-ખુશી ઘરે પરત ફરી રહ્યો હતો પરિવાર
મળતી માહિતી મુજબ, લક્ઝરી બસમાં સવાર તમામ મુસાફરો ભાવનગરના વતની હતા. આ આખો પરિવાર અમદાવાદના ગોતા વિસ્તારમાં રાખવામાં આવેલા એક સીમંત (ખોળો ભરવાનો) પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો હતો. પ્રસંગ ખૂબ જ સારી રીતે પૂર્ણ કરીને આખો પરિવાર ખુશી-ખુશી લક્ઝરી બસ બંધાવીને પોતાના વતન ભાવનગર પરત ફરી રહ્યો હતો. પરંતુ નિયતિને કંઈક જુદું જ મંજૂર હતું, વતન પહોંચે તે પહેલાં જ અધવચ્ચે કાળનો પંજો ત્રાટક્યો હતો.

Tragedy On Dholera Expressway: હાઈવે પર ચીસાચીસ: 5 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી
અકસ્માત એટલો જોરદાર હતો કે બસ પલટી મારતાં જ મુસાફરોની ચીસાચીસથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કોઠ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તોની ગંભીર સ્થિતિને જોતાં બગોદરા, ધોળકા અને વટામણ સહિતની આસપાસની ૫ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની મદદ લેવાઈ હતી.
Tragedy On Dholera Expressway: બસની બારીઓ તોડી મુસાફરોને બહાર કઢાયા
પોલીસ અને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ બસમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તમામ ૧૫થી વધુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં અમુક મુસાફરોની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ભાવનગરમાં રહેતા પરિવારના સગા-સંબંધીઓમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




