Tragedy at UN Mehta Hospital: અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી પ્રખ્યાત યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલના પરિસરમાં ગઇકાલે (6 જુલાઈ) સાંજે એક હૃદયકંપાવનારી દુર્ઘટના સામે આવી હતી. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુએજ ટેન્ક (ગટરની ટાંકી) સફાઈની કામગીરી દરમિયાન સેફ્ટીના સાધનો વિના ઉતારાયેલા 3 શ્રમિકો ઝેરી ગેસના કારણે અંદર ફસાયા હતા. સારવાર દરમિયાન કોન્ટ્રાક્ટ પર કામ કરતા એક યુવકનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ સાથે આજે (7 જુલાઈ) સવારથી જ હોસ્પિટલના 200થી વધુ હાઉસકીપિંગ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે અને હોસ્પિટલ કેમ્પસમાં ભારે હોબાળો મચી ગયો છે.

Tragedy at UN Mehta Hospital: ગટરની ટાંકીમાં એકને બચાવવા જતાં અન્ય બે પણ ફસાયા
ગઈકાલે સાંજના સમયે યુ.એન. મહેતા હોસ્પિટલના બેઝમેન્ટમાં ડ્રેનેજ પાઇપલાઇનની સફાઈ ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન એક શ્રમિક ઝેરી ગેસના કારણે અચાનક બેભાન થઈ ગયો હતો અને સીધો નીચે અર્ધ ભરેલી સુએજ ટેન્કમાં ખાબક્યો હતો. તેને ડૂબતો જોઈ અને બચાવવા માટે ત્યાં હાજર અન્ય બે વ્યક્તિઓ પણ તાત્કાલિક ટેન્કમાં નીચે ઉતર્યા હતા, પરંતુ ઝેરી ગેસની તીવ્ર અસરોના કારણે તેઓ પણ ત્યાં જ ગૂંગળાઈને બેભાન થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ પાઇપલાઇનમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢી ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

Tragedy at UN Mehta Hospital: ‘સેફ્ટી વિના ડ્રેનેજમાં ઉતાર્યા’, એક શ્રમિકના મોતનો આક્ષેપ
આ ઘટનામાં ભોગ બનનાર યુવકો હોસ્પિટલમાં હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતી ‘SMC’ નામની કંપનીના કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકો અને પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે, હાઉસકીપિંગનું કામ હોવા છતાં આ કર્મચારીઓને કોઈપણ જાતના સેફ્ટી ગીઅર (સુરક્ષા સાધનો) વિના જોખમી ડ્રેનેજ સાફ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા.
પરિવારજનોના જણાવ્યા મુજબ, સારવાર દરમિયાન એક કર્મચારીનું મૃત્યુ નીપજ્યું છે, જોકે હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કે જાણકારી આપવામાં આવી નથી, જેને પગલે લોકોનો રોષ બેવડાયો છે.

Tragedy at UN Mehta Hospital: 200થી વધુ કર્મચારીઓ હડતાળ પર, હોસ્પિટલના દરવાજા બંધ કરાયા
પોતાના સાથી કર્મચારીના મોતના સમાચાર અને સુરક્ષાના અભાવથી રોષે ભરાયેલો 200થી વધુ હાઉસકીપિંગ સ્ટાફ આજે સવારથી જ કામકાજ બંધ કરી હડતાળ પર ઉતરી ગયો છે. હોસ્પિટલ પરિસરમાં મચેલા ભારે હોબાળા અને તંગદિલીને પગલે વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલના મુખ્ય દરવાજા બંધ કરી દેવાની ફરજ પડી હતી.

પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક પોલીસ બોલાવવી પડી હતી. શાહીબાગ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને હાલ પ્રદર્શન કરી રહેલા સ્ટાફને શાંત પાડવા અને મામલો થાળે પાડવા માટે સમજાવટનો પ્રયાસ કરી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




