Thrilling Rescue in Surat: સુરત શહેરમાં વરસી રહેલા આફતના વરસાદની વચ્ચે આજે મધ્યન્હ સમયે એક મોટી દિલધડક ઘટના સામે આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વ્યસ્ત એવા વ્રજચોક-સરથાણા જકાતનાકા પાસે ભારે વરસાદના કારણે ભરાયેલા પૂર જેવા પાણીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ની એક એસટી બસ પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે ફસાઈ ગઈ હતી. બસના એન્જિનમાં પાણી ઘૂસી જતાં બસ બંધ પડી ગઈ હતી અને તેમાં સવાર 28 જેટલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે, ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.
Thrilling Rescue in Surat: ખંભાતથી સુરત આવી રહેલી બસ જળબંબાકારમાં અટવાઈ
આજે મંગળવારે (7 જુલાઈ, 2026) સવારે અંદાજે 11:50 થી 12:15 વાગ્યાના સુમારે જ્યારે સુરતમાં મુશળધાર વરસાદ ચાલુ હતો, ત્યારે ખંભાત ડેપોની એસટી બસ (નંબર: GJ-18 ZT 3299) ખંભાતથી સુરત રૂટ પર આવી રહી હતી. બસ જ્યારે વરાછાના વ્રજચોક નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક રસ્તા પર નદી જેવા વહેતા પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા બસ અધવચ્ચે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી.
આ સમયે બસમાં સવાર 28 મુસાફરો આસપાસ પાણીની વિકરાળ સ્થિતિ જોઈને ગભરાઈ ગયા હતા. બસના ડ્રાઈવર મુકેશભાઈ રાવત અને કંડક્ટર ઇલિયાસભાઈ હુસેનભાઈ સૈયદે તાત્કાલિક ડેપો અને કંટ્રોલ રૂમને આ અંગેની જાણ કરી હતી.
Thrilling Rescue in Surat: સરથાણા ફાયર બ્રિગેડે ટ્રેક્ટર વડે કર્યું ‘સ્પેશિયલ રેસ્ક્યૂ’

રોડ પર એસટી બસ મુસાફરો સાથે પૂરના પાણીમાં ફસાઈ હોવાનો મેસેજ મળતાં જ સરથાણા ફાયર સ્ટેશનની ટીમ ફાયર ફાઈટરો અને બચાવ સામગ્રી સાથે મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પાણીનું સ્તર વધુ હોવાના કારણે ફાયર ટીમે સ્થાનિક ટ્રેક્ટરની મદદ લીધી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત ઉઠાવી, એક પછી એક તમામ 28 મુસાફરોને બસમાંથી બહાર કાઢી ટ્રેક્ટરમાં બેસાડીને સુરક્ષિત અને સૂકા સ્થળે પહોંચાડ્યા હતા.
Thrilling Rescue in Surat: કોઈ જાનહાનિ નહીં, તંત્ર દ્વારા સાવચેતીની અપીલ

ફાયર બ્રિગેડ, ડ્રાઈવર અને કંડક્ટરની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ મુસાફરને ઈજા થઈ નથી, જે મોટી રાહતની વાત છે. તમામ મુસાફરોએ સુરક્ષિત બહાર આવ્યા બાદ ફાયર ટીમનો આભાર માન્યો હતો.
હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહી વચ્ચે સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે, શહેરના નીચાણવાળા વિસ્તારો અને ગરનાળાઓ (અંડરપાસ) માં જ્યાં પાણી ભરાયા હોય ત્યાં સાહસ કરીને વાહનો ન નાખવા અને મુસાફરી દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડોદરામાં પ્રી-મોન્સૂન કામગીરીના દાવા ધોવાયા, માત્ર 1 ઇંચ વરસાદમાં જ પરશુરામ ભઠ્ઠામાં જળબંબાકાર, ખિસકોલી સર્કલે ચક્કાજામ




