Surat Industrial Horror: ઔદ્યોગિક નગરી સુરતના ખાંડ બજાર વિસ્તારમાંથી રવિવારની વહેલી સવારે એક અત્યંત કરુણ અને ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલા ‘રતિ હાઉસ’ (રતિ જ્વેલર્સ) ખાતે અંડરગ્રાઉન્ડ ટેંક ચેમ્બરની સફાઈ (સ્લજ ક્લીનિંગ) કરવા ઉતરેલા ચાર શ્રમિકોના ઝેરી ગેસની અસરોના કારણે ગૂંગળામણથી મોત નીપજ્યા છે. ટાંકીની અંદર ફસાયેલા ચારેય શ્રમિકોને ફાયર બ્રિગેડે ઓક્સિજન કીટ સાથે ભારે જહેમત બાદ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ કાળજીપૂર્વકની સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Surat Industrial Horror: સવારે ૧૦:૨૨ વાગ્યે કંટ્રોલ રૂમ પર આવ્યો કોલ
ઘટનાની વિગતો આપતા ફાયર વિભાગના અધિકારી ભાવિનભાઈ જગદીશભાઇ કોસીયાએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે ૧૦:૨૨ કલાકે ફાયર કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે ખાંડ બજાર પાસે એક વ્યક્તિ ચેમ્બરમાં ફસાયેલો છે. કોલ મળતાની સાથે જ ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, ત્યાં પહોંચ્યા બાદ ખબર પડી કે સ્થિતિ અતિ ગંભીર હતી. કાદવ-કચરો સાફ કરવા માટે એક નહીં પણ કુલ ચાર શ્રમિકો અંદર ઉતર્યા હતા અને ઝેરી ગેસ ચડવાના કારણે ચારેય જણા ત્યાં જ બેભાન થઈને ફસાઈ ગયા હતા.
Surat Industrial Horror: ઓક્સિજન કીટ સાથે રેસ્ક્યુ ઓપરેશન, પણ જીવ ન બચ્યા
ડેપ્યુટી ફાયર ઓફિસર પ્રકાશ ઇડાવે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે:
“અમને માત્ર એક માણસ બેભાન હોવાનો મેસેજ મળ્યો હતો, પણ તપાસ કરતા સ્લજ ચેમ્બરમાં ચાર લોકો ફસાયેલા હોવાનું માલૂમ પડ્યું હતું. અમારી ટીમે યુદ્ધના ધોરણે ઓક્સિજન કીટ પહેરીને ભારે જહેમત બાદ ચારેય લોકોને બહાર કાઢ્યા હતા. સ્થળ પર હાજર ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેઓને તાત્કાલિક સ્મીમેર (SMIMER) હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યા હતા.”
જોકે, સ્મીમેર હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ ચારેય શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા. એકસાથે ચાર-ચાર શ્રમિકોના મોતના સમાચારથી હોસ્પિટલ પરિસરમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.
Surat Industrial Horror: સેફ્ટીના સાધનોનો અભાવ: ફેક્ટરી એક્ટ હેઠળ તપાસ થશે
આ દુર્ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ શ્રમિકોની સુરક્ષા માટેના જરૂરી સેફ્ટી ગીયર્સ (સાધનો)નો અભાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડેપ્યુટી ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, આ પ્રોપર્ટી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવે છે અને તે સુરત મહાનગરપાલિકા (SMC) ની હદ હેઠળ સીધી આવતી નથી, જેના કારણે આ કેસમાં ‘ફેક્ટરી એક્ટ’ના કડક નિયમો લાગુ પડશે. ફેક્ટરી માલિકો દ્વારા શ્રમિકોની સુરક્ષા પ્રત્યે ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી કે નહીં તે અંગે સંબંધિત વિભાગો અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
હાલમાં સુરત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, ચારેય શ્રમિકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં કામ કરતા ગરીબ શ્રમિકોની કથળતી સુરક્ષા અને ફેક્ટરી માલિકોની બેદરકારી સામે મોટા સવાલો ઊભા કર્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




