Spiritual Resonance in UK: લંડનમાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી, 700થી વધુ જૈન શ્રાવકો ઉમટ્યા, હૅરોના મેયર અંજના પટેલની પ્રેરક ઉપસ્થિતિ

0
87
Spiritual Resonance in UK
Spiritual Resonance in UK

Spiritual Resonance in UK: ગ્રેટ બ્રિટનની રાજધાની લંડનમાં વસતા ભારતીય સમુદાય દ્વારા જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભારે ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. યુનાઇટેડ કિંગડમ (UK) ના વિવિધ વિસ્તારોમાંથી 700 થી વધુ દિગંબર જૈન શ્રાવકો આ ખાસ આધ્યાત્મિક મહોત્સવમાં સહભાગી થયા હતા અને પ્રભુ મહાવીરના શાંતિ અને એકતાના સંદેશને વિશ્વભરમાં ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો.

Spiritual Resonance in UK

Spiritual Resonance in UK: વિદ્વાનોના પ્રવચનથી આધ્યાત્મિક માહોલ સર્જાયો

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓને ભાવવિભોર કરતું ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું. વિદ્વાન શીતલજીના ઉદ્બોધન, બાળ બ્રહ્મચારી વિજય ભૈયા અને પંડિત અનુભવજી વચ્ચેની ગહન ધર્મ ચર્ચાએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાથે જ બાળ બ્રહ્મચારી વિજય ભૈયાના પ્રેરણાદાયક પ્રવચને યુકેમાં વસતા ભારતીયોને આધ્યાત્મિક ઊર્જાથી ઓત-પ્રોત કરી દીધા હતા. આયોજક સમિતિના સભ્ય આશીષ જૈને જણાવ્યું કે, મહોત્સવમાં ભગવાન મહાવીરના જીવન પર આધારિત નાટિકાઓ, સંગીતમય પ્રસ્તુતિઓ, ઈન્દ્રસભા અને જૈન મૂલ્યો પર આધારિત સાંસ્કૃતિક અને ભક્તિ કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું હતું.

Spiritual Resonance in UK: મેયર અંજના પટેલના હસ્તે યુવા પ્રતિભાઓ અને શિક્ષકોનું સન્માન

આ ભવ્ય મહોત્સવમાં હૅરો (લંડન) નાં ભારતીય મૂળના મેયર અંજના પટેલ ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજની યુવા પ્રતિભાઓ માટે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં કળા, રમત-ગમત, વિજ્ઞાન અને ગણિત જેવા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓને મેયર અંજના પટેલના હસ્તે એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત, વિદેશની ધરતી પર નવી પેઢીને સંસ્કાર આપતી જૈન ધર્મ અને હિન્દી ભાષાની પાઠશાળાઓ ચલાવતા સમર્પિત શિક્ષકોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

Spiritual Resonance in UK: યુકેની તમામ દિગંબર જૈન સંસ્થાઓ એકમંચ પર

આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ હતી કે યુનાઇટેડ કિંગડમની તમામ દિગંબર જૈન સંસ્થાઓના પ્રતિનિધિઓ એક જ મંચ પર એકત્રિત થયા હતા. કાર્યક્રમના અંતે સૌએ એકજૂટ થઈને ભગવાન મહાવીરના મૂળભૂત સિદ્ધાંતો – સત્ય, અહિંસા, કરુણા, વૈશ્વિક શાંતિ અને એકતાના સંદેશને સમગ્ર યુકે અને યુરોપમાં પ્રસારિત કરવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 અંકોડીયા વિસ્તારમાં યુવતી હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, અન્ય યુવક સાથે અફેરની શંકા અને મોબાઈલ પાસવર્ડ ન આપતા પ્રેમીએ જ ગળું દબાવી પતાવી દીધી