Rajkumar Jat Case: ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. કેસના મુખ્ય આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સરકારી વકીલે નાર્કો ટેસ્ટ દરમિયાન થયેલી પૂછપરછ અને તેના પરથી મળેલા તારણોની વિગત કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.

Rajkumar Jat Case: નાર્કો ટેસ્ટમાં પૂછાયા 31 પ્રશ્નો
સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે, ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ દરમિયાન કુલ 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નો મુખ્યત્વે ઘટનાના દિવસે બનેલી સમગ્ર ઘટનાક્રમ, સંભવિત મારામારી, ઘટનાના કારણો તેમજ જીવલેણ અકસ્માતની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને પૂછવામાં આવ્યા હતા.
Rajkumar Jat Case: કાવતરાનો પુરાવો મળ્યો નહીં?
સરકારી વકીલે કોર્ટમાં રિપોર્ટ ટાંકતા જણાવ્યું કે, નાર્કો ટેસ્ટના તારણો મુજબ આરોપી દ્વારા કોઈ પૂર્વયોજિત કાવતરું રચાયું હોવાનું સ્પષ્ટ થતું નથી. ઉપરાંત, અગાઉ આરોપીના ઘરે થયેલી જૂની માથાકૂટનો બદલો લેવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવા પણ કોઈ ઠોસ પુરાવા સામે આવ્યા નથી. જોકે, નાર્કો ટેસ્ટ બાદ લેબોરેટરી દ્વારા તપાસ અધિકારીને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હોવાનું પણ કોર્ટને જણાવાયું હતું.
Rajkumar Jat Case: અરજદાર પક્ષે નાર્કો એનાલિસિસની માગ ઉઠાવી
બીજી તરફ, મૃતક રાજકુમાર જાટના પરિવાર તરફથી રજૂ થયેલા વકીલે માત્ર નાર્કો ટેસ્ટના તારણોથી સંતોષ ન માનતા ‘નાર્કો એનાલિસિસ’ કરવાની માગ કરી હતી. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારને અરજદાર પક્ષના વકીલને નાર્કો એનાલિસિસ રિપોર્ટની કોપી ઉપલબ્ધ કરાવવા આદેશ આપ્યો છે.
15 જાન્યુઆરીએ નિર્ણાયક સુનાવણી
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી 15 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. આગામી સુનાવણીમાં એનાલિસિસ રિપોર્ટના આધારે નવા તથ્યો બહાર આવે તેવી શક્યતા છે. રાજકુમાર જાટનું મોત અકસ્માત હતું કે સુનિયોજિત હત્યા—તે રહસ્ય પરથી પડદો ઉચકવામાં હવે 15 જાન્યુઆરીની તારીખ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.




