Rajkot Crime: રાજકોટના ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલી એક વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પત્નીના ચારિત્ર્ય પર શંકા અને આડા સંબંધોની આશંકા રાખીને તેના જ પતિએ આ કરપીણ હત્યાને અંજામ આપ્યો છે.
Rajkot Crime: રાત્રે ઝઘડો થયો અને જીવ બચાવવા દોડેલી પત્નીનો પીછો કર્યો
મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશનો એક શ્રમિક પરિવાર ગોંડલના વોરાકોટડા રોડ પર હનુમાન ધારા પાછળ આવેલી એક વાડીમાં મજૂરી કામ અર્થે આવ્યો હતો. રાત્રિના સમયે કોઈ બાબતે પતિ અને પત્ની ગુંદલીબેન સોલંકી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઝઘડો એટલો હિંસક બન્યો કે ગુંદલીબેનને પોતાની જાનનું જોખમ જણાતા તેઓ જીવ બચાવવા માટે અંધારામાં બાજુની વાડી તરફ ભાગ્યા હતા. જોકે, ક્રોધે ભરાયેલા નરાધમ પતિએ તેમનો પીછો કર્યો હતો અને તેમને આંતરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
Rajkot Crime: પોલીસ કાફલો ઘટનાસ્થળે, મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો

સવારના સમયે વાડીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા જ સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને જોતા ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક કાર્યવાહી બાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ તપાસ અર્થે ફોરેન્સિક પીએમ (FPM) માટે રાજકોટ ખસેડ્યો છે.
Rajkot Crime: ફરાર કાતિલ પતિને ઝડપવા ચક્રો ગતિમાન

આ મામલે ગોંડલ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ‘અમે કીડા-મકોડા નથી, માણસ છીએ’, સુરતમાં ડિમોલિશન બાદ વરસતા વરસાદમાં તાડપત્રી નીચે રડતી મહિલાઓ




