Micro-Climate Magic: સમગ્ર ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે. આ આકરા ઉનાળા અને લૂ-ગરમ પવનોથી અબોલ વન્ય-જીવોને સુરક્ષિત રાખવા માટે ગાંધીનગર સ્થિત પ્રખ્યાત ‘ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’ ખાતે વન વિભાગ અને ‘ગીર’ (GEER) ફાઉન્ડેશન દ્વારા એપ્રિલ માસથી જ વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ આધુનિક વ્યવસ્થાઓ આગામી ચોમાસાની શરૂઆત સુધી કાર્યરત રહેશે.
હાલમાં ઇન્દ્રોડા પાર્કમાં ૩ સિંહ, ૨ વાઘ, ૩ દીપડા, મીઠા પાણીના મગર, શાહુડી, દુર્લભ પક્ષીઓ અને સરીસૃપો સહિત કુલ ૬૦૦ કરતાં વધારે વન્યજીવો વસવાટ કરે છે.

Micro-Climate Magic: 1. આધુનિક સંસાધનોથી ઊભું કરાયું ‘માઇક્રો ક્લાઇમેટ’
વન્યજીવોના આવાસ વિસ્તારોમાં ખાસ કુદરતી અને આધુનિક વ્યવસ્થાઓ ગોઠવીને સામાન્ય તાપમાન કરતાં ૨°C થી ૪°C જેટલો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળતા મળી છે:
- જમ્બો ટેન્ટ એર કૂલર્સ: માંસાહારી વન્યજીવોના આવાસ અને સર્પગૃહમાં કુલ ૧૫ નંગ જમ્બો એર કૂલર્સ ફિટ કરાયા છે, જે બપોરના આકરા તાપમાં તાપમાન નિયંત્રિત રાખે છે.
- પોપ-અપ સ્પ્રીન્ક્લર્સ: તીવ્ર ગરમીના કલાકો દરમિયાન ખુલ્લા વિસ્તારોમાં કુદરતી ઠંડક પ્રસરાવવા ૨૦ હાઇ-પ્રેશર ફુવારા ગોઠવાયા છે, જે બપોરે ૧ થી ૫ વાગ્યા સુધી સતત કાર્યરત રહે છે.
- ખસના પડદા અને એગ્રોનેટ શેડ: સીધા તડકાથી બચવા ‘એગ્રોનેટ’ના વિશેષ શેડ ઊભા કરાયા છે. સાથે જ પરંપરાગત ખસના પડદા લગાવી તેના પર સમયાંતરે પાણી છાંટવામાં આવે છે, જેથી ગરમ પવન ઠંડકમાં પરિવર્તિત થાય છે.
Micro-Climate Magic: 2. ડાયેટ પ્લાનમાં વૈજ્ઞાનિક ફેરફાર: ખોરાકમાં ઘટાડો, ફળોમાં વધારો
ઉનાળા દરમિયાન પ્રાણીઓનું પાચનતંત્ર અને સ્વાસ્થ્ય ન બગડે તે માટે વેટરનરી સાયન્સ મુજબ આહારમાં ફેરફાર કરાયા છે:
- માંસાહારી પ્રાણીઓ: આફરો ચડવાની કે પાચનની સમસ્યા ન થાય તે માટે દૈનિક આહારમાં જરૂરિયાત મુજબ ૫૦૦ ગ્રામથી ૧ કિલોગ્રામ જેટલો ઘટાડો કરાયો છે.
- પક્ષીઓ અને અન્ય જીવો: શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે તડબૂચ, સક્કરટેટી અને કાકડી જેવા ઠંડક આપનારા ફળોનો વિશેષ સમાવેશ કરાયો છે.
- તૃણાહારી પ્રાણીઓ: હીટ સ્ટ્રોકથી બચાવવા અને ઇલેક્ટ્રોલાઇટની જાળવણી માટે ખોરાકમાં વિટામીન-સી યુક્ત ઓરલ રીહાઇડ્રેટીંગ પાઉડર તથા મલ્ટી મિનરલ-વિટામીન સપ્લીમેન્ટ્સ મિક્સ કરીને આપવામાં આવે છે.
Micro-Climate Magic: 3. મુક્ત વન્યજીવોની દરકાર અને 24 કલાક ડૉક્ટર્સની ટીમ
ઇન્દ્રોડા પાર્ક રક્ષિત વન હોવાથી અહીં પાંજરા બહાર પણ હનુમાન લંગુર, નીલગાય, મોર અને શાહુડી જેવા અનેક વન્યજીવો મુક્તપણે વિહાર કરે છે.
વિશેષ વોટર પોઇન્ટ્સ: આ મુક્ત વન્યજીવો માટે સમગ્ર જંગલ વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ વોટર પોઇન્ટ્સ રાખવામાં આવ્યા છે, જેમાં દૈનિક ધોરણે સફાઈ કરીને નિયમિત પાણી ભરવામાં આવે છે.
અબોલ જીવોની ત્વરિત સારવાર અને નિયમિત હેલ્થ મોનિટરિંગ માટે અનુભવી પશુ ચિકિત્સકોની ૨૪ કલાક રાઉન્ડ-ધ-ક્લોક સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઝૂ સ્ટાફ અને વેટરનરી ટીમ દ્વારા તમામ પ્રાણીઓ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




