Kedarnath Dham: ચારધામ યાત્રાના ચોથા દિવસે આજે બુધવારે સવારે 8 વાગ્યે કેદારનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ઔપચારિક રીતે ખોલવામાં આવ્યા છે. સમગ્ર મંદિર પરિસરને 51 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે, જેનો નજારો અત્યંત દિવ્ય લાગી રહ્યો છે.

Kedarnath Dham: વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂ થઈ પૂજા

પરંપરા અનુસાર, મંદિરનો પૂર્વીય દરવાજો સૌથી પહેલા ખોલવામાં આવ્યો હતો. મુખ્ય પૂજારી, રાવલ અને મંદિરના સેવકોએ ગર્ભગૃહમાં પ્રવેશ કરી પૂજા વિધિનો પ્રારંભ કર્યો હતો. ગયા વર્ષે કપાટ બંધ કરતી વખતે જ્યોતિર્લિંગ પર લગાવવામાં આવેલી ભસ્મને દૂર કરવામાં આવી હતી, જેનું ભક્તોમાં પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું.
Kedarnath Dham: PM મોદીના નામે પહેલી પૂજા

આ પવિત્ર અવસરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી હાજર રહ્યા હતા. તેમણે ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે પ્રથમ પૂજા અર્ચના કરી દેશના કલ્યાણની કામના કરી હતી. પૂજા પૂર્ણ થયા બાદ હવે સામાન્ય ભક્તો માટે દર્શનની મંજૂરી આપવામાં આવી છે.
નવા નિયમો: મોબાઈલ અને રીલ બનાવવા પર પ્રતિબંધ
આ વખતે મંદિર સમિતિ દ્વારા સુરક્ષા અને ગરિમા જાળવવા માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે:
- નો મોબાઈલ ઝોન: મંદિર પરિસરના 50 થી 60 મીટરના વિસ્તારમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે.
- ફોટોગ્રાફી પર રોક: મુખ્ય પરિસરમાં ફોટા પાડવા કે રીલ્સ બનાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.
- ડેડિકેટેડ એરિયા: ફોટોગ્રાફી માટે એક અલગ વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે, જ્યાં ભક્તો મોબાઈલનો ઉપયોગ કરી શકશે.

ભૈરવનાથના કપાટ ખુલ્યા બાદ જ ધરાવાશે ભોગ
એક મહત્વની પરંપરા મુજબ, આજે પ્રથમ દિવસે ભગવાન કેદારનાથને કોઈ ભોગ (પ્રસાદ) ધરાવવામાં આવશે નહીં. કેદારનાથના રક્ષક ગણાતા ભુકુંડ ભૈરવ મંદિરના કપાટ આગામી 25 એપ્રિલે ખુલશે. ત્યારબાદ જ બાબા કેદારનાથને પીળા ચોખાનો પ્રસાદ ચઢાવવાની અને નિયમિત ભોગ ધરાવવાની પ્રક્રિયા શરૂ થશે.
દંતકથા મુજબ, બાબા કેદારનાથના દર્શન ત્યારે જ સફળ ગણાય છે જ્યારે ભક્તો ભૈરવનાથના દર્શન કરે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : સુરતના રસ્તા પર દોડી ‘ભૂતિયા સાયકલ’: AIના જાદુથી ચાલક વગર પેડલ લાગતા જોઈ લોકો દંગ!




