JANMASHTAMI CONTROVERSY: કોલકાતાના મોમિનપુર વિસ્તારમાં છેલ્લા લગભગ 58 વર્ષથી ઉજવાતો જન્માષ્ટમી ઉત્સવ આ વર્ષે ચર્ચામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ ઉત્સવની શરૂઆત વર્ષો પહેલાં મુસ્લિમ સમાજસેવક મોહમ્મદ કાશિમ દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી અહીં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લેતા આવ્યા છે.

અહેવાલ મુજબ, અગાઉ આશરે 20 સભ્યોની આયોજન સમિતિમાં લગભગ અડધા મુસ્લિમ સભ્યો પણ સામેલ રહેતા હતા. તેઓ પ્રસાદ વિતરણથી લઈને પંડાલની વ્યવસ્થા અને અન્ય આયોજનમાં સક્રિય ભાગ લેતા હતા. 2011 બાદ મુસ્લિમ યુવકોની ભાગીદારી પણ ઉત્સવમાં જોવા મળતી હતી.
જોકે, આ વર્ષે પહેલીવાર આયોજન સમિતિમાં માત્ર હિન્દુ સભ્યોને સ્થાન આપવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેના કારણે વર્ષોથી હિન્દુ-મુસ્લિમ સહભાગિતાનું ઉદાહરણ ગણાતો આ ઉત્સવ ફરી ચર્ચામાં આવ્યો છે.
JANMASHTAMI CONTROVERSY: આયોજન સમિતિનો શું છે તર્ક?

આયોજન સમિતિના અધ્યક્ષ રાજેશ સિંહના જણાવ્યા પ્રમાણે, જન્માષ્ટમી હિન્દુ ધર્મનો તહેવાર હોવાથી તેનું આયોજન હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવવું જોઈએ. જોકે અન્ય ધર્મના લોકોને પંડાલમાં પ્રવેશવા કે ઉત્સવમાં ભાગ લેવા પર કોઈ પ્રતિબંધ નથી, તેમ આયોજકોનું કહેવું છે.
આ નિર્ણયથી એક તરફ પરંપરામાં આવેલા ફેરફારની ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ 58 વર્ષ પહેલાં એક મુસ્લિમ સમાજસેવકે શરૂ કરેલા આ ઉત્સવના ઇતિહાસને પણ ફરી યાદ કરવામાં આવી રહ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: શેરબજાર ખુલતા જ કકડભૂસ, વૈશ્વિક તણાવ અને મોંઘા ક્રૂડની અસર

