Horrific Fire in Delhi: રાજધાની દિલ્હીના માલવીય નગર વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં બુધવારે સવારે એક રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગ જોતજોતામાં ઉપર આવેલી હોટલમાં ફેલાઈ ગઈ હતી. આ અગ્નિકાંડમાં 21 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મૃતકોમાં મધ્ય એશિયા અને આફ્રિકી દેશોના કેટલાક વિદેશી નાગરિકો પણ સામેલ હોવાના અહેવાલ છે, જોકે તેમની ચોક્કસ સંખ્યા અંગે સત્તાવાર પુષ્ટિ બાકી છે.
આ ભયાનક અકસ્માત બાદ ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોની મદદથી 40થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી ઘણા લોકોની હાલત અત્યંત ગંભીર છે, જેમાંથી 13 જેટલા લોકો હાલ AIIMS હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

Horrific Fire in Delhi: 6 માળની ઇમારતમાં સવારે 8.50 વાગ્યે મચી ચીસાચીસ
દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, માલવીય નગરના પ્રેસ એન્ક્લેવ રોડ પર આવેલી 6 માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત ‘લેમન ગ્રીન રેસ્ટોરન્ટ’માં સવારે અંદાજે 8:50 વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. સવારનો સમય હોવાથી લોકો કશું સમજે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તે ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપરના ત્રણ માળ સુધી ફેલાઈ ગઈ હતી. આ રેસ્ટોરન્ટની ઉપર જ ‘હોટેલ ફ્લોરિશ સ્ટે’ આવેલી હતી, જેમાં પ્રવાસીઓ રોકાયેલા હતા.

Horrific Fire in Delhi: જીવ બચાવવા લોકો ત્રીજા-ચોથા માળેથી કૂદ્યા, સ્થાનિકોએ ગાદલા પાથર્યા
ઘટનાસ્થળેથી સામે આવેલા વીડિયો હૃદય કંપાવી દે તેવા છે. ઈમારતમાંથી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ નીકળતી જોઈને અંદર ફસાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે સળગતી ઇમારતની બારીઓ અને ધાબા પરથી નીચે કૂદતા જોવા મળ્યા હતા. નીચે ઉભેલા સ્થાનિક રહીશોએ માનવતા દાખવીને તાત્કાલિક જમીન પર મોટા ગાદલા પાથરી દીધા હતા, જેથી કૂદનારા લોકોના જીવ બચાવી શકાયા હતા. આ સિવાય બેઝમેન્ટમાં ફસાયેલા 6થી વધુ લોકોને પણ ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.

Horrific Fire in Delhi: હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓના સગા હોટલમાં રોકાયા હતા
આ ઘટના જે રોડ પર બની છે તેની આસપાસ જ મેક્સ હોસ્પિટલ અને AIIMS જેવી મોટી હોસ્પિટલો આવેલી છે. પ્રારંભિક માહિતી મુજબ, દેશ-વિદેશથી આ હોસ્પિટલોમાં સારવાર કરાવવા આવતા દર્દીઓના પરિવારજનો અને સગાસંબંધીઓ જ મોટેભાગે આ ‘હોટેલ ફ્લોરિશ સ્ટે’માં રોકાતા હતા. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને પોલીસ તેમજ ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે.
તંત્રની બેદરકારી અને ફાયર સેફ્ટીના અભાવ સામે ફરી સવાલો ઉભા થયા છે, કારણ કે છેલ્લા માત્ર 6 મહિનામાં જ દિલ્હીમાં આગની અલગ-અલગ ઘટનાઓમાં કુલ 66 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




