Godhra Highway Accident: ગોધરા-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ST બસે બાઈકને કચડતાં યુવકનું મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ; પોલીસની કામગીરી સામે પરિવારનો ગંભીર આક્ષેપ

0
112
Godhra Highway Accident
Godhra Highway Accident

Godhra Highway Accident: ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલી ટુવા ચોકડી નજીક એક અત્યંત કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. દાહોદથી મોરબી તરફ જઈ રહેલી ગુજરાત એસ.ટી. (ST) નિગમની બસે એક મોટરસાઈકલને જોરદાર ટક્કર મારતાં ૩૦ વર્ષીય આશાસ્પદ યુવકનું હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

Godhra Highway Accident

Godhra Highway Accident: મરણપ્રસંગમાંથી પરત ફરતાં કાળ ભેટી ગયો

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા તાલુકાના વિઝોરા ગામે રહેતા ૩૦ વર્ષના મનહરસિંહ રતનસિંહ સોલંકી તેમના મિત્ર સાથે ટુવા ગામે એક મરણપ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. સામાજિક વિધિ પતાવીને તેઓ પોતાના બાઈક પર સવાર થઈ ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ટુવા ચોકડી પાસે રોડ ક્રોસ કરતી વખતે દાહોદ-મોરબી રૂટની એસ.ટી. બસના ચાલકે પોતાના કબજાની બસ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી પ્રચંડ હતી કે, મનહરસિંહ રોડ પર પટકાતાં તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો. જુવાનજોધ પુત્રના આકસ્મિક અવસાનથી વિઝોરા ગામ અને સોલંકી પરિવારમાં આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે.

Godhra Highway Accident

Godhra Highway Accident: પોલીસની કામગીરી પર પરિવારજનોનો ગંભીર આક્ષેપ

આ ઘટનાને પગલે મૃતક મનહરસિંહના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, કાકણપુર પોલીસ આ મામલે પક્ષપાતી વલણ અપનાવી રહી છે અને તેમની ન્યાયી ફરિયાદ લેવા આનાકાની કરી રહી છે.

મૃતકના ભાઈ જયદીપ સોલંકીનું નિવેદન: “કાકણપુર પોલીસે એસ.ટી. બસ ચાલકના જણાવ્યા પ્રમાણે એકતરફી ફરિયાદ લીધી છે. જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, બાઇકચાલક એટલે કે મારા ભાઈએ ગફલતભરી રીતે બાઈક હંકારી રહ્યો હતો એટલે આ અકસ્માત થયો છે. પોલીસે અમારી ફરિયાદ લેવાને બદલે અકસ્માત સર્જનાર એસ.ટી. બસના ડ્રાઈવરની જ ફરિયાદ નોંધી લીધી છે.”

Godhra Highway Accident: ‘CCTV અને ડ્રાઈવરની ફરિયાદના આધારે તપાસ શરૂ’ : પોલીસ

બીજી તરફ આ વિવાદ અને આક્ષેપો અંગે કાંકણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. કે. ગૂર્જરે પક્ષ રાખતા જણાવ્યું હતું કે, “અકસ્માત અંગે કાયદાકીય રીતે એક જ એફઆઈઆર (FIR) નોંધવાની હોય છે. એસ.ટી. ડ્રાઈવર મોહનસિંહ દેવાભાઈ ચાવડા દ્વારા આપવામાં આવેલી ફરિયાદ હાલ નોંધી લેવામાં આવી છે. જો કે, ઘટનાસ્થળ પરથી મળી આવેલા સીસીટીવી ફૂટેજ અને ડ્રાઈવરની ફરિયાદ બંને પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે. તપાસના અંતે જે પણ કસુરવાર સાબિત થશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

હાલમાં સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ સ્થાનિકો અને પરિજનોમાં પોલીસની આ પ્રક્રિયા સામે સવાલો ઉઠી રહ્યા છે, અને અકસ્માત સર્જનાર ડ્રાઈવર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ જોર પકડી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 IPL ફાઇનલનો ક્રેઝ: માત્ર 1.5 કલાકમાં 45 હજાર ટિકિટો વેચાઈ સ્ટેડિયમ બહાર બેરિકેડિંગ, જાણો રૂટ ડાયવર્ઝન અને પાર્કિંગ પ્લાન