Farmers Protest in Sanand: સાણંદના ડરણ ગામે ખેડૂતોનો હલ્લાબોલ, નોટિસ કે વળતર વગર ખેતરોમાં પાઈપલાઈન નાખવા સામે ભારે રોષ, તંત્રએ કામગીરી બંધ કરવી પડી

0
206
Farmers Protest in Sanand
Farmers Protest in Sanand

Farmers Protest in Sanand: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામે સિંચાઈ વિભાગની મનસ્વી કામગીરી સામે સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર મોરચો માંડ્યો છે. તંત્ર દ્વારા કોઈપણ પૂર્વ સૂચના (નોટિસ) આપ્યા વિના અને જમીનનું યોગ્ય વળતર ચૂકવ્યા વિના જ સીધા ખેતરોની વચ્ચેથી પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ કરી દેવાતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ખેડૂતોના આ ઉગ્ર વિરોધને પગલે સ્થિતિ વણસતાં ઘટનાસ્થળે સાણંદ અને ચાંગોદર પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, જેને કારણે મામલો વધુ ગરમાયો હતો.

Farmers Protest in Sanand

Farmers Protest in Sanand: પાણીના નિકાલના આયોજન સામે ખેડૂતો પર ‘દમન’નો આક્ષેપ

મળતી માહિતી મુજબ, ચાંગોદર, ચાચારવાડી વાસણા અને ગેલોફ વિસ્તારમાં ચોમાસા દરમિયાન કે અન્ય કારણોસર ભરાતા પાણીના નિકાલ માટે સિંચાઈ વિભાગ દ્વારા ડરણ ગામના ખેતરોની વચ્ચેથી એક મોટી પાઈપલાઈન પસાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, સ્થાનિક અન્નદાતાઓની સંમતિ લીધા વિના કે તેમને વિશ્વાસમાં લીધા વગર જ તંત્રએ સીધા ખેતરોમાં જેસીબી (JCB) મશીનો ઉતારી દીધા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે આ તંત્રનું સીધું દમન છે અને તેમની કિંમતી જમીનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

Farmers Protest in Sanand: કલાકો સુધી ભારે હોબાળો, પોલીસનો કાફલો ઉતારાયો

પોતાની આજીવિકા સમાન જમીન બચાવવા માટે આખું ગામ અને આસપાસના ખેડૂતો એકઠા થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ કલાકો સુધી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોનો આક્રોશ જોઈને વાતાવરણ તંગ બની ગયું હતું, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તાત્કાલિક સાણંદ અને ચાંગોદર પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો તૈનાત કરવો પડ્યો હતો.

Farmers Protest in Sanand: અધિકારીઓની આજીજી બાદ હાલ પૂરતું કામ બંધ

વિવાદ વધતો જોઈ સાણંદ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક દોડતા થઈ ડરણ ગામે પહોંચ્યા હતા. એક તબક્કે રોષે ભરાયેલા ખેડૂતોને શાંત પાડવા માટે સરકારી અધિકારીઓ આજીજી અને સમજાવટના પ્રયાસો કરતા નજરે પડ્યા હતા. અંતે ખેડૂતોની મક્કમતા અને એકતા સામે નમતું જોખીને સિંચાઈ વિભાગને પાઈપલાઈન નાખવાની કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવાની ફરજ પડી છે. ખેડૂતોએ તંત્રને સ્પષ્ટ ચિમકી આપી છે કે જ્યાં સુધી યોગ્ય નોટિસ અને કાયદેસરનું વળતર નહીં મળે, ત્યાં સુધી તેઓ પોતાના ખેતરમાંથી એક પણ પાઈપલાઈન પસાર કરવા દેશે નહીં.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 303 પોઈન્ટ તૂટીને 74,346 પર બંધ, આઈટી શેરોમાં ધોવાણ; જાણો ઘટાડાના 3 મોટા કારણો