Education Revolution: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003થી શરૂ કરાવેલા શિક્ષણ સેવા યજ્ઞ ‘કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ’ની 24મી કડીનો મંગળવારથી ભવ્ય પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાંથી પોતાનું પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું, તે વતન વડનગરની ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ત્રિદિવસીય રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. 25 જૂન, ગુરૂવાર સુધી ચાલનારા આ મહોત્સવ અંતર્ગત રાજ્યભરની 38,400 શાળાઓમાં અંદાજે 28.58 લાખ બાળકોને પ્રવેશ અપાવવામાં આવશે.

Education Revolution: વડનગરમાં 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ અને શાળાઓની સમીક્ષા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર ખાતે આંગણવાડીના બે ભૂલકાંઓ સહિત બાલવાટિકાથી ધોરણ-11 સુધીના કુલ 389 વિદ્યાર્થીઓનો ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન રાજ્ય મંત્રીમંડળના સભ્યો વિવિધ શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC), વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતા સાથે બેસીને શાળાઓની શૈક્ષણિક સિદ્ધિઓ, ભૌતિક સુવિધાઓ અને અન્ય ઉપલબ્ધિઓની ઝીણવટભરી સમીક્ષા પણ કરી રહ્યા છે.
પ્રવેશના નિયમો: ૧ જૂનના રોજ 5 વર્ષથી વધુ અને 6 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને બાલવાટિકામાં તેમજ 6 વર્ષથી વધુ અને 7 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ધોરણ-8 પાસ કરનારા વિદ્યાર્થીઓને ધોરણ-9માં અને ધોરણ-10 પાસ કરનારાઓને ધોરણ-11માં પ્રવેશ અપાયો છે.
Education Revolution: “ધગશ હોય તો સામાન્ય પરિવારનો વ્યક્તિ પણ PM બની શકે”
બી.એ. હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના બાળપણના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળપણથી જ અનેક વિષમ પરિસ્થિતિઓનો પોતે અનુભવ કર્યો છે અને હંમેશા છેવાડાના વ્યક્તિની ચિંતા કરી છે. જો તમારામાં ધગશ હોય, તો સામાન્ય પરિવારની વ્યક્તિ પણ વડાપ્રધાન સુધીની મંજિલ સર કરી શકે છે તે વડાપ્રધાને સાબિત કર્યું છે. તેઓ જ્યારે અહીં ભણતા હતા ત્યારે દરેક બાળકના ટિફિનમાંથી થોડું-થોડું આપતા શીખવાડીને સૌને સાથે રાખવાની ભાવના કેળવતા હતા. આજે પણ તેઓ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ ના મંત્ર સાથે વિશ્વમાં દેશનું નામ ઉજાગર કરી રહ્યા છે.”
Education Revolution: શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ: ડ્રોપ આઉટ રેશિયો 37%થી ઘટીને 1%થી ઓછો થયો
મુખ્યમંત્રીએ શિક્ષણ ક્ષેત્રે થયેલા આમૂલ પરિવર્તનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પહેલા જ્યારે 100 બાળકો શાળામાં દાખલ થતા ત્યારે ડ્રોપ આઉટ રેશિયો (શાળા છોડી દેવાનું પ્રમાણ) 37 ટકા જેટલો ઊંચો હતો, જે આજે ઘટીને 1 ટકાથી પણ ઓછો થઈ ગયો છે. વડનગરની બી.એન. હાઈસ્કૂલમાં જ ડ્રોપઆઉટ થયેલા 24 વિદ્યાર્થીઓનું ફરીથી નામાંકન કરવામાં આવ્યું છે. આજે સ્થિતિ એવી છે કે જો વિદ્યાર્થી શાળાએ ન આવે તો શિક્ષક પોતે તેના ઘરે જઈને વાલીને સમજાવે છે.
દીકરીઓ શિક્ષણમાં વધુમાં વધુ આગળ આવે તે માટે સરકારે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી બે મહત્વની યોજનાઓ અમલમાં મૂકી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
Education Revolution: ‘બાળકો મમ્મીને તો ગાંઠતા નથી, પણ પપ્પાને થોડા ઘણા ગાંઠે છે’: CMની રમૂજ
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં બાળકો દ્વારા થતા ટીવી અને મોબાઈલના વધુ પડતા વપરાશ અંગે હળવી શૈલીમાં ટકોર કરી હતી. તેમણે બાળકોને આગ્રહ કર્યો હતો કે માતા-પિતા કહે એટલે તરત જ ટીવી અને મોબાઈલ બંધ કરી દેવા જોઈએ અથવા તેનો સમય નક્કી કરવો જોઈએ. તેમણે રમૂજ કરતા કહ્યું કે, “બાળકો મમ્મીને તો ગાંઠતા નથી, પણ પપ્પાને થોડા ઘણા ગાંઠે છે.” અંતમાં મુખ્યમંત્રીએ શાળામાં પ્રવેશ મેળવી રહેલા તમામ નવદીક્ષિત બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




