Chaos at Udhna Railway Station: ઉનાળાના વેકેશનની શરૂઆત થતા જ સુરતમાં વસતા પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે, પરંતુ રેલવે તંત્રની ઘોર બેદરકારીને કારણે આજે ઉધના રેલવે સ્ટેશન પર માનવતા શરમાય તેવા દૃશ્યો સર્જાયા હતા. હજારોની ભીડને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જ્યારે જીવ બચાવવા મહિલાઓએ અણીદાર બેરિકેડ્સ કૂદવા પડ્યા હતા.

Chaos at Udhna Railway Station: 16 કલાકની પ્રતીક્ષા અને 2 કિમી લાંબી લાઈનો
વતન જવા નીકળેલા મુસાફરો છેલ્લા 16 કલાકથી ભૂખ્યા-તરસ્યા રેલવે સ્ટેશનની બહાર 2 કિલોમીટર લાંબી લાઈનોમાં ઉભા હતા. 8000થી વધુ મુસાફરો સામે માત્ર 2 ટ્રેનોની વ્યવસ્થા હોવાથી સ્થિતિ વણસી હતી. ગરમી અને ગૂંગળામણ એટલી હદ સુધી વધી ગઈ હતી કે લાઈનમાં ઉભેલા બે મુસાફરો બેભાન થઈ ગયા હતા.

Chaos at Udhna Railway Station: મહિલાઓ અને બાળકોની કફોડી હાલત
ભીડમાં કચડાવાના ડરથી બાળકોની ચીસો નીકળી ગઈ હતી. સ્થિતિ બેકાબૂ બનતા પોતાની અને બાળકોની સુરક્ષા માટે મહિલાઓ જીવના જોખમે અણીદાર લોખંડના બેરિકેડ્સ કૂદીને બહાર નીકળવા મજબૂર બની હતી. તંત્ર દ્વારા પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાથી, જ્યારે પાણી આવ્યું ત્યારે લોકોમાં લૂંટાલૂંટ મચી ગઈ હતી.

Chaos at Udhna Railway Station: હૃદયદ્રાવક દૃશ્ય: પત્નીની અસ્થિઓ લઈ ટ્રેન માટે વલખાં મારતો યુવક
આ ભીડમાં એક અત્યંત કરુણ કિસ્સો જોવા મળ્યો હતો. એક લાચાર યુવક પોતાની પત્નીની અસ્થિઓ હાથમાં લઈને કલાકો સુધી ટ્રેનમાં ચઢવા માટે સંઘર્ષ કરતો રહ્યો હતો. ભીડ વચ્ચે પત્નીના અંતિમ અવશેષો સાચવવા તે આમતેમ રઝળતો જોવા મળ્યો હતો, જે જોઈ હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

Chaos at Udhna Railway Station: રેલવે તંત્રની નિષ્ફળતા સામે આક્રોશ
- અપૂરતી ટ્રેનો: હજારો મુસાફરો સામે ટ્રેનોની સંખ્યા નહિવત.
- સુવિધાઓનો અભાવ: પીવાના પાણી અને છાંયડાની કોઈ વ્યવસ્થા નહીં.
- વ્યવસ્થાપનમાં ખામી: દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં રેલવે નિષ્ફળ.

હાલમાં પણ ઉધના સ્ટેશન પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




