Bloodbath in Quetta: પાકિસ્તાનનો બલુચિસ્તાન પ્રાંત ફરી એકવાર ભયાનક આતંકવાદી હુમલાથી ધ્રૂજી ઊઠ્યો છે. રવિવારે ક્વેટા શહેરના ચમન ફાટક પાસે રેલવે ટ્રેક નજીક એક પ્રચંડ આત્મઘાતી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ આત્મઘાતી હુમલાની સીધી ઝપેટમાં પેસેન્જર ટ્રેન ‘જાફર એક્સપ્રેસ’ આવી ગઈ હતી. સત્તાવાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કમકમાટીભરી ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 80 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Bloodbath in Quetta: પ્રચંડ ધમાકો: ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, બારીઓના કાચ તૂટ્યા
મીડિયા અહેવાલો અનુસાર, જ્યારે આત્મઘાતી હુમલો થયો ત્યારે જાફર એક્સપ્રેસ ક્વેટા કેન્ટ તરફ જઈ રહી હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને પલટી ખાઈ ગયા હતા.
- ઘટનાસ્થળની સ્થિતિ: ધમાકાની સાથે જ રેલવે ટ્રેક આસપાસ ભયાનક આગ ફાટી નીકળી હતી. આસપાસની ઇમારતોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા અને વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
- રેસ્ક્યુ ઓપરેશન: ફાયર બ્રિગેડ, પોલીસ, રેસ્ક્યુ ટીમ અને સુરક્ષા દળો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. બલુચિસ્તાન સરકારના ગૃહ મામલાના વિશેષ સહાયક બાબર યુસુફઝઈએ જણાવ્યું કે ઘટનાની ગંભીર તપાસ ચાલી રહી છે અને સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

Bloodbath in Quetta: આતંકીઓના નિશાના પર કેમ છે ‘જાફર એક્સપ્રેસ’?
જાફર એક્સપ્રેસ પાકિસ્તાન રેલવેની લાંબા અંતરની એક મુખ્ય ટ્રેન છે, જે બલુચિસ્તાનની રાજધાની ક્વેટાને પાકિસ્તાનના અન્ય મોટા શહેરો સાથે જોડે છે. આ ટ્રેન બલુચિસ્તાન સહિતના અનેક અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થાય છે, જ્યાં બલૂચ લિબરેશન આર્મી (BLA) નું વર્ચસ્વ છે.
- તાજેતરના વર્ષોમાં બલુચિસ્તાનમાં રેલવે ટ્રેક, સુરક્ષા દળો અને સરકારી ઠેકાણાઓ પર હુમલા વધ્યા છે.
- ગયા વર્ષે પણ BLA એ આ જ જાફર એક્સપ્રેસને હાઈજેક કરી લીધી હતી અને ૨૧૪ મુસાફરોને બંધક બનાવીને ૩૦ સૈનિકોની હત્યા કરી દીધી હોવાનો દાવો કર્યો હતો. હાલ આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ આતંકવાદી હુમલો માનીને તપાસ કરી રહી છે.

Bloodbath in Quetta: શું છે બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)?
બીબીસીના રિપોર્ટ અનુસાર, બલુચિસ્તાનમાં ઘણા લોકોનું માનવું છે કે ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે તેઓ એક સ્વતંત્ર દેશ તરીકે રહેવા માંગતા હતા, પરંતુ તેમની મરજી વિરૂદ્ધ તેમને પાકિસ્તાનમાં સામેલ કરવામાં આવ્યા. આ જ કારણે ત્યાં સેના અને સ્થાનિકો વચ્ચે દાયકાઓથી સંઘર્ષ ચાલુ છે.
- બલુચિસ્તાનમાં આઝાદીની માંગ કરનારા સંગઠનોમાં BLA સૌથી શક્તિશાળી સંગઠન છે, જેનો પ્રભાવ ૨૧મી સદીમાં ઘણો વધ્યો છે.
- BLA બલુચિસ્તાનને પાકિસ્તાની સરકાર અને ચીનથી મુક્ત કરાવવા માંગે છે, કારણ કે તેમનું માનવું છે કે બલુચિસ્તાનના કુદરતી સંસાધનો પર માત્ર તેમનો જ હક છે. પાકિસ્તાન સરકારે ૨૦૦૭માં જ BLA ને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કર્યું હતું.

Bloodbath in Quetta: ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ: પાકિસ્તાન દુનિયામાં બીજા સ્થાને
ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025 ના તાજેતરના અહેવાલ મુજબ, પાકિસ્તાન આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં વર્ષ ૨૦૨૪ ના ચોથા સ્થાનેથી કૂદીને હવે બુર્કિના ફાસો પછી વિશ્વનો બીજો સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત દેશ બની ગયો છે.
- TTP નો આતંક: ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP) ને સતત બીજા વર્ષે પાકિસ્તાનનું સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન ગણાવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૪ માં આ ગ્રુપે ૪૮૨ હુમલા કર્યા, જેમાં ૫૫૮ લોકોના મોત થયા (જે ૨૦૨૩ ની સરખામણીએ ૯૧% વધુ છે).
- હુમલાઓમાં વધારો: પાકિસ્તાનમાં TTP ના હુમલાઓમાં ૯૦% અને બલૂચ આર્મી (BLA) ના હુમલાઓમાં ૬૦% નો મોટો વધારો થયો છે. આ સાથે જ ઇસ્લામિક સ્ટેટ-ખુરાસાન (IS-K) એ પણ હવે પાકિસ્તાની શહેરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.
- સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો: દેશભરની કુલ આતંકવાદી ઘટનાઓમાંથી ૯૦% હુમલા માત્ર ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન વિસ્તારમાં જ નોંધાયા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




