Heavy Rain in Ahmedabad: ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સતત વરસી રહેલા વરસાદે ગણપતિની માટીની મૂર્તિઓ બનાવતા કારીગરોની ચિંતા વધારી દીધી છે. ગુલબાઈ ટેકરા, નિર્ણયનગર સહિતના વિસ્તારોમાં ખુલ્લી તેમજ કામચલાઉ જગ્યાઓમાં તૈયાર કરવામાં આવેલી મૂર્તિઓને વરસાદી પાણી અને ભેજથી બચાવવા કારીગરો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Heavy Rain in Ahmedabad: મૂર્તિઓ બચાવવા તાડપત્રીનો સહારો

વરસાદ શરૂ થતાં જ કારીગરો અને તેમના પરિવારજનો મૂર્તિઓને પ્લાસ્ટિક અને તાડપત્રીથી ઢાંકવામાં લાગી ગયા છે. કેટલીક જગ્યાએ તૈયાર મૂર્તિઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહી છે. સતત વરસાદ અને વાતાવરણમાં રહેલી ભેજને કારણે કાચી માટીની મૂર્તિઓને યોગ્ય રીતે સૂકવવામાં મુશ્કેલી પડી રહી છે.
Heavy Rain in Ahmedabad: રંગકામની કામગીરી પણ અટકી
ગણેશોત્સવ પહેલાં મૂર્તિઓ પર રંગકામ અને શણગારની અંતિમ કામગીરી ચાલી રહી હતી. પરંતુ વરસાદી માહોલના કારણે આ કામગીરીને પણ અસર પહોંચી છે. ભેજના કારણે મૂર્તિઓમાં તિરાડ પડવાની, રંગ ઊખડી જવાની અને શણગાર બગડવાની ભીતિ કારીગરોને સતાવી રહી છે.

Heavy Rain in Ahmedabad: કારીગરોને આર્થિક નુકસાનની ચિંતા
મૂર્તિઓ બનાવવા માટે કારીગરોએ માટી, રંગ, શણગારની સામગ્રી અને મજૂરી પાછળ પહેલેથી જ ખર્ચ કર્યો છે. હવે જો તૈયાર મૂર્તિઓને નુકસાન થાય તો તહેવારની છેલ્લી ઘડીએ મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. સાથે જ મૂર્તિઓ સમયસર તૈયાર નહીં થાય તો ગ્રાહકોને ડિલિવરી કરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે.
કારીગરોનું કહેવું છે કે ગણેશોત્સવ પહેલાં વરસાદથી મૂર્તિઓને બચાવવા માટે સુરક્ષિત જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવે તો મોટી રાહત મળી શકે છે. હાલ કારીગરો પોતાની મહેનતથી તૈયાર કરેલી ગણેશજીની મૂર્તિઓને વરસાદથી બચાવવા દિવસ-રાત પ્રયાસ કરી રહ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, બોરસદમાં માત્ર ૪ કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ, ધોળકામાં જળબંબાકાર

