Surat’s Educational Crisis: સુરતમાં હાલ માં જ આવેલા ખાડીપૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, જેની સીધી અસર હવે માસૂમ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડી છે. પૂરના પ્રકોપને કારણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓના પુસ્તકો, યુનિફોર્મ અને શૈક્ષણિક સામગ્રી સંપૂર્ણપણે પાણીમાં પલળીને નષ્ટ થઈ ગયા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ આ અંગે મહત્વની માહિતી આપતા જણાવ્યું છે કે ખાડી વિસ્તારમાંથી અંદાજે ૧ લાખથી વધુ પુસ્તકો ધોવાઈ ગયા છે.
Surat’s Educational Crisis: ઘરોમાં ૭ થી ૮ ફૂટ પાણી ભરાતા તારાજી

મળતી માહિતી મુજબ, પૂરગ્રસ્ત વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં અચાનક ૭ થી ૮ ફૂટ જેટલા ઊંચા પાણી ભરાઈ ગયા હતા. પૂરના આ પાણી ઓસર્યા બાદ જ્યારે તંત્ર અને આગેવાનો અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા, ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા; જ્યાં વિદ્યાર્થીઓના વાલીઓ ઘરમાં પલળી ગયેલા પુસ્તકોને સૂર્યના તાપમાં સુકવતા નજરે પડ્યા હતા. તપાસ દરમિયાન બાળકોના યુનિફોર્મ, બૂટ-મોજા અને પુસ્તકો સહિતની તમામ ચીજવસ્તુઓ નકામી થઈ ચૂકી હોવાનું સામે આવ્યું હતું.
Surat’s Educational Crisis: અંદાજે ૭ થી ૮ હજાર બાળકો પર અસર

આ કુદરતી આપત્તિના કારણે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોના અંદાજે ૭ થી ૮ હજાર જેટલા માસૂમ બાળકોના ભણતર પર ગંભીર અસર પડી છે. બાળકો સમયસર અભ્યાસ શરૂ કરી શકે તે માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા છે.
Surat’s Educational Crisis: રાજ્ય સરકારને પત્ર લખી ૧,૦૧,૨00 પુસ્તકો મંગાવ્યા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાત્કાલિક અસરગ્રસ્ત વિદ્યાર્થીઓના પુસ્તકોનો ડેટા મંગાવ્યો હતો. આ પ્રક્રિયા અંતર્ગત ૧ ઓગસ્ટના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજ્ય સરકારને સત્તાવાર પત્ર લખીને ૧,૦૧,૨૦૦ જેટલા પુસ્તકો પૂરા પાડવા માટે રજૂઆત કરવામાં આવી છે.
Surat’s Educational Crisis: આગામી એક અઠવાડિયામાં અપાશે કીટ
વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાના જણાવ્યા અનુસાર, આગામી એક અઠવાડિયાની અંદર જ અસરગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓને પુસ્તકો, યુનિફોર્મ, તેમજ બૂટ-મોજા સહિતની જરૂરી કીટ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે, જેથી બાળકો ફરીથી પોતાના અભ્યાસ તરફ પાછા વળી શકે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વાપીના ચલા વિસ્તારમાં જુત્તા ચોરનો આતંક: V2 સિગ્નેચર બિલ્ડીંગમાંથી બે થેલા ભરીને મોંઘા બૂટ-ચંપલ ચોરાયા