Honoring Covid Heroes: કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં પોતાની ફરજ નિભાવતા સંક્રમિત થઈને જીવ ગુમાવનાર ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના ૧૧૫ કર્મચારીઓના પરિવારોને રાજ્ય સરકાર દ્વારા મોટી નાણાકીય સહાય આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ અને સંવેદનાસભર કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અસરગ્રસ્ત પરિવારોને રૂ. ૨૫-૨૫ લાખની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Honoring Covid Heroes: કાયદાની નહીં, પણ સંવેદનાની સરકાર: હર્ષ સંઘવી
કાર્યક્રમને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ લેવાયેલો આ મહત્વપૂર્ણ નિર્ણય માત્ર કાયદાકીય જોગવાઈઓને આધીન નથી, પરંતુ માનવીય અભિગમ અને સંવેદનાને કેન્દ્રમાં રાખીને “દિલથી” લેવામાં આવ્યો છે.
તેમણે કોરોના કાળને યાદ કરતા ઉમેર્યું કે, જ્યારે આખી દુનિયા મહામારીના ડરથી પોતાના ઘરોમાં કેદ હતી, ત્યારે GSRTCના ડ્રાઇવર, કંડક્ટર, ક્લાર્ક અને મેનેજર જેવા કર્મઠ કર્મચારીઓએ પોતાના પરિવારની પરવા કર્યા વગર અવિરત નાગરિક સેવા બજાવી હતી.
Honoring Covid Heroes: “સરકાર હંમેશા પરિવારના સભ્યની જેમ પડખે ઊભી રહેશે”

દિવંગત કર્મચારીઓના બલિદાનને યાદ કરતા નાયબ મુખ્યમંત્રીએ ભાવુક અંદાજમાં કહ્યું કે, કોરોના કાળમાં જીવ ગુમાવનારા આ કોરોના વોરિયર્સની ખાલી પડેલી જગ્યા કોઈ ભરી શકે તેમ નથી, પરંતુ રાજ્ય સરકાર તેમના પરિવારોની દરેક મુશ્કેલીમાં એક પરિવારના સભ્યની જેમ હંમેશા સાથે ઊભી રહેશે. આ નાણાકીય સહાય એ કોરોના વોરિયર્સના સર્વોચ્ચ બલિદાનને અર્પિત સાચી શ્રદ્ધાંજલિ સમાન છે.
Honoring Covid Heroes: મહાનુભાવોની ઉપસ્થિતિ

ગાંધીનગર ખાતે યોજાયેલા આ સંવેદનશીલ કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળી, અગ્ર સચિવ હરિત શુક્લા, વાહન વ્યવહાર કમિશનર રાજેન્દ્ર કુમાર, GSRTCના ઉચ્ચ અધિકારીઓ તેમજ દિવંગત કર્મચારીઓના શોકગ્રસ્ત પરિવારજનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડોદરામાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનું કનેક્શન: ATSની તપાસમાં હોટલમાં ગુપ્ત બેઠક યોજાયાનો ખુલાસો




