Surat Demolition Crisis: “અત્યારે અમારી હાલત બહુ ખરાબ છે. વરસાદ શરૂ થઈ ગયો છે અને આખો દિવસ-રાત અમારે પાણીમાં જ કાઢવા પડે છે. મારું હમણાં જ મોટું ઓપરેશન થયું છે, પણ આવી ગંભીર હાલતમાં ભીની જમીન પર દિવસો કાપવા મજબૂર છું. અમે માણસ છીએ, કોઈ કીડા-મકોડા નથી કે અમને રસ્તા પર ફેંકી દીધા!” આ આક્રંદ સુરતના નાસીરનગરમાં રહેતી શબાના શેખનું છે, જેમના જેવા ૧૦૦થી વધુ નિર્દોષ લોકો આજે ખુલ્લા આકાશ નીચે નરકાગાર જેવી સ્થિતિ ભોગવી રહ્યા છે.

સુરતના નાસીરનગરમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા ડિમોલિશનને ૨૨ દિવસ વીતી ગયા છે. કાતિલ ગરમી બાદ હવે જ્યારે ચોમાસાના પ્રથમ મુશળધાર વરસાદનું આગમન થયું છે, ત્યારે આ વિસ્થાપિત પરિવારોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે.
Surat Demolition Crisis: વરસાદની આફત: તાડપત્રીનો આશરો અને ભીની માટી
વરસતા વરસાદમાં પ્લાસ્ટિકની તાડપત્રી નીચે આશ્રય લઈ રહેલી મહિલાઓની આંખોના આંસુ સુકાવાનું નામ નથી લેતા. મહિલાઓ પ્લાસ્ટિકની કોથળીઓમાં ઘરવખરી, કપડાં અને જરૂરી દવાઓ સાચવીને ભીના કપડે બેસી રહેવા લાચાર બની છે.
- બાળકોની ફજીહત: રાત્રે જોરદાર વરસાદ તૂટી પડતાં બાળકો બીમાર ન પડે તે માટે જમીલા બી નામના મહિલાએ પોતાના બાળકોને સગા-સંબંધીઓને ત્યાં મોકલી દીધા છે.
- આર્થિક લાચારી: પીડિતોનું કહેવું છે કે, “અમારી પાસે નવી જગ્યાએ જવા માટે ડિપોઝિટના પૈસા નથી, કે નથી દર મહિને ભાડું ચૂકવવાની ઓકાત. તંત્રએ અચાનક આવીને બધું તોડી નાખ્યું, હવે ચોમાસામાં અમે ક્યાં જઈએ?”

Surat Demolition Crisis: એકતરફ આક્રંદ, બીજી તરફ બિલ્ડરની ‘બિન્દાસ’ એન્ટ્રી
આ આખી માનવસર્જિત આપત્તિ વચ્ચે સૌથી ચોંકાવનારા દ્રશ્યો શુક્રવારે જોવા મળ્યા. જે ‘પાલિયા રેસીડેન્સી’ પ્રોજેક્ટના કારણે આ પરિવારો બેઘર થયા છે, તેના બિલ્ડર સંજય લાખાણી અને તેનો ભાઈ કોઈ પણ જાતની સંવેદના વગર પોતાના કરોડોના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા સાઇટ પર પહોંચ્યા હતા. એકતરફ ગરીબ પરિવારો રોતા-કકળતા બેઠા હતા અને બરાબર તેની બાજુમાં બિલ્ડરની આ સંવેદનહીનતા જોઈ સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો, જેનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
૨૨ દિવસ નરક વેઠ્યા બાદ માંડ મુકાયું એક ‘મોબાઈલ ટોયલેટ’ વહીવટી તંત્રની ઉદાસીનતાનો આલમ એવો છે કે ઘટનાના પૂરા ૨૨ દિવસ સુધી કોઈ ડોકિયું કરવા પણ ન આવ્યું. આજે જ્યારે મુશળધાર વરસાદ ખાબક્યો, ત્યારે તંત્રએ માંડ એક ‘મોબાઈલ ટોયલેટ’ ત્યાં મૂક્યું છે. આટલા દિવસોથી મહિલાઓ કઈ નરક જેવી સ્થિતિમાં જીવતી હતી, તેની તંત્રને કોઈ પરવા જ નહોતી.

Surat Demolition Crisis: “અમારી કબર પણ અહીં જ બનશે”: મહિલાઓની આખરી ચીખ
ચોમાસાની આફત અને બિલ્ડરોની દાદાગીરી સામે હવે નાસીરનગરની મહિલાઓએ આરપારની જંગ છેડી દીધી છે. જમીલા બી અને અન્ય મહિલાઓએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે, “ગમે તેટલો વરસાદ પડે કે આખું આકાશ તૂટી પડે, અમે આ જગ્યા છોડીને ક્યાંય જવાના નથી. જો સરકાર અમને અમારું ઘર પાછું નહીં આપે, તો અમે અહીં જ ભૂખ્યા-તરસ્યા મરી જઈશું અને અમારી કબર પણ આ જ નાસીરનગરની ભીની માટીમાં બનશે.”
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




