UK Political Crisis: બ્રિટનના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે સોમવારે વડાપ્રધાન પદ તેમજ લેબર પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટની બહાર રાષ્ટ્રને સંબોધન કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું કે, “લેબર પાર્ટીને હવે એવું નથી લાગતું કે હું આગામી ચૂંટણીમાં નેતૃત્વ કરવા માટે યોગ્ય વ્યક્તિ છું.”
સ્ટાર્મરના આ આકસ્મિક રાજીનામાથી બ્રિટનમાં રાજકીય અસ્થિરતા વધુ ઘેરી બની છે. બ્રિટનને હવે સાત વર્ષમાં છઠ્ઠા વડાપ્રધાન મળવા જઈ રહ્યા છે.

UK Political Crisis: શા માટે કીર સ્ટાર્મરે પદ છોડવું પડ્યું?
વર્ષ ૨૦૨૪માં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત અપાવનાર કીર સ્ટાર્મર માત્ર ગણતરીના મહિનાઓમાં જ અપ્રિય થઈ ગયા. તેમના રાજીનામા પાછળ મુખ્યત્વે નીચેના કારણો જવાબદાર માનવામાં આવે છે:
- પાર્ટીમાં આંતરિક અસંતોષ: છેલ્લા કેટલાક સમયથી લેબર પાર્ટીની અંદર જ તેમના નેતૃત્વ સામે સવાલો ઉઠી રહ્યા હતા. ઘણા સાંસદો અને મંત્રીઓ તેમનાથી નારાજ હતા.
- ચૂંટણીમાં નબળું પ્રદર્શન: તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના ખરાબ પ્રદર્શને સ્ટાર્મર પર દબાણ વધાર્યું હતું.
- વચનો પાળવામાં નિષ્ફળતા: જીવનધોરણમાં સુધારાના વચનો પૂરા ન કરી શકવા, સતત વિવાદો અને વારંવાર નીતિગત યુ-ટર્ન લેવાને કારણે જનતામાં તેમની છબી ખરડાઈ હતી.
- બર્નહેમની એન્ટ્રી: મેકરફિલ્ડ પેટાચૂંટણીમાં એન્ડી બર્નહેમની જીતે સ્ટાર્મર માટે મુશ્કેલીઓ વધારી દીધી. બર્નહેમના સમર્થકો સતત સ્ટાર્મરના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.
UK Political Crisis: રેસમાં કોણ છે આગળ? એન્ડી બર્નહેમ બની શકે છે નવા PM
બીબીસીના અહેવાલ અનુસાર, વડાપ્રધાન પદની રેસમાં એન્ડી બર્નહેમ સૌથી આગળ ચાલી રહ્યા છે. તાજેતરમાં જ પેટાચૂંટણી જીતીને સંસદમાં વાપસી કરનાર બર્નહેમને લેબર પાર્ટીના સાંસદોના એક મોટા વર્ગનું સમર્થન પ્રાપ્ત છે. જીત બાદ તેમણે દેશને નવી દિશા આપવાની વાત પણ કરી હતી. આ સિવાય પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી વેસ સ્ટ્રીટિંગ પણ રેસમાં હોવાના સંકેતો મળી રહ્યા છે.
UK Political Crisis: ૧૦ વર્ષમાં બ્રિટને જોયા ૬ વડાપ્રધાન: ક્યારે કોણે પદ છોડ્યું?
બ્રિટનમાં છેલ્લા એક દાયકાથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતાનો ચિતાર આ યાદી પરથી મળી રહે છે:
| વડાપ્રધાન | રાજીનામાનું મુખ્ય કારણ |
| ડેવિડ કેમરન | ૨૦૧૬માં બ્રેક્ઝિટ (Brexit) લોકમતમાં થયેલી હારના કારણે. |
| થેરેસા મે | સંસદમાં બ્રેક્ઝિટ સોદો પસાર કરાવી ન શકવાને કારણે ૨૦૧૯માં રાજીનામું. |
| બોરિસ જોહ્ન્સન | કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન સત્તાવાર નિવાસસ્થાને પાર્ટી કરવાના વિવાદ અને કૌભાંડોને લીધે ૨૦૨૨માં પદ છોડ્યું. |
| લિઝ ટ્રસ | આર્થિક નીતિઓના કારણે બજારમાં મચેલી ઉથલપાથલને લીધે માત્ર ૪૯ દિવસમાં જ (ઓક્ટોબર ૨૦૨૨) રાજીનામું આપવું પડ્યું. |
| ઋષિ સુનક | વધતો ફુગાવો, આર્થિક પડકારો અને જુલાઈ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થતાં પદ છોડ્યું. |
| કીર સ્ટાર્મર | સ્થાનિક ચૂંટણીમાં પરાજય, ઘટતી લોકપ્રિયતા અને પાર્ટીની અંદર ભારે આંતરિક વિરોધના કારણે જૂન ૨૦૨૬માં રાજીનામું. |
UK Political Crisis: બ્રિટનમાં કેમ વારંવાર બદલાય છે વડાપ્રધાન?
નિષ્ણાતોના મતે બ્રિટનની સંસદીય પ્રણાલી અને પક્ષોના નિયમો આ અસ્થિરતા માટે મુખ્યત્વે જવાબદાર છે:
૧. સીધી ચૂંટણીનો અભાવ: બ્રિટનમાં જનતા વડાપ્રધાનને સીધા ચૂંટતી નથી, પરંતુ જે તે પક્ષના સાંસદો વડાપ્રધાન નક્કી કરે છે. જ્યાં સુધી સાંસદોનું સમર્થન હોય ત્યાં સુધી જ વડાપ્રધાન પદ પર રહી શકે છે.
૨. પક્ષોના સરળ નિયમો: જો સાંસદોને લાગે કે વડાપ્રધાનની લોકપ્રિયતા ઘટવાથી આગામી ચૂંટણીમાં પક્ષને નુકસાન થશે, તો તેઓ સામાન્ય ચૂંટણી કરાવ્યા વિના પણ નવો નેતા પસંદ કરી શકે છે.
- કન્ઝર્વેટિવ પાર્ટી: જો ૧૫% સાંસદો નેતા વિરૂદ્ધ પત્ર લખે, તો અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય છે.
- લેબર પાર્ટી: જો કોઈ નેતાને ૨૦%થી વધુ સાંસદો અને સભ્યોનું સમર્થન મળે, તો તે વર્તમાન નેતા સામે દાવેદારી નોંધાવી શકે છે.
કીર સ્ટાર્મરના આ નિર્ણય બાદ હવે સમગ્ર વિશ્વની નજર બ્રિટનના આગામી રાજકીય પગલાં અને નવા વડાપ્રધાનની સત્તાવાર જાહેરાત પર ટકેલી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




