PlaneCrashAnniversary:અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી અને કરુણ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. 12 જૂન, 2025ના રોજ બનેલી આ ભયાનક પ્લેન ક્રેશ ઘટનામાં વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી 241 લોકોના મોત થયા હતા, જ્યારે જમીન પર રહેલા લોકો સહિત કુલ મૃત્યુઆંક 260થી વધુ પહોંચ્યો હતો. દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા છતાં હજુ સુધી તેના મૂળ કારણો અંગે સત્તાવાર અને સ્પષ્ટ જવાબ સામે ન આવતા મૃતકોના પરિવારજનોમાં નિરાશા અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
દુર્ઘટનાની પ્રથમ વરસીના અવસરે આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એક હોટેલમાં મૃતકોના પરિવારજનો એકત્ર થયા હતા. કાર્યક્રમની શરૂઆત દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે યોજાયેલી પ્રાર્થના સભાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે અનેક પરિવારજનોએ પોતાના સ્વજનોને યાદ કરી ભાવુક ક્ષણો અનુભવી હતી.
PlaneCrashAnniversary:ન્યાય અને તપાસના મુદ્દે મહત્વપૂર્ણ બેઠક
પ્રાર્થના સભા બાદ મૃતકોના પરિવારજનો અને ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ્સ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પ્લેન ક્રેશ કેસની હાલની સ્થિતિ, તપાસની પ્રગતિ અને ભવિષ્યમાં ન્યાય મેળવવા માટેના કાનૂની વિકલ્પો અંગે ચર્ચા કરવામાં આવશે.
પરિવારજનોનું કહેવું છે કે દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં હજુ સુધી અકસ્માતનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે કાર્યવાહી તેમજ સત્ય બહાર આવે તેવી માંગ સાથે તેઓ સતત અવાજ ઉઠાવી રહ્યા છે.
PlaneCrashAnniversary:સાંજે કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

આજના કાર્યક્રમના અંતર્ગત સાંજે 4:30 વાગ્યે આશ્રમ રોડ પરની હોટેલથી પ્લેન ક્રેશ સ્થળ સુધી કેન્ડલ માર્ચ યોજાશે. જેમાં મૃતકોના પરિવારજનો, સામાજિક આગેવાનો અને અન્ય નાગરિકો જોડાશે. કેન્ડલ માર્ચ બાદ દુર્ઘટના સ્થળે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મૃતકોને મૌન પાળી અને દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

એક વર્ષ બાદ પણ ઘાવ તાજા હોવાનો અહેસાસ કરાવતા પરિવારજનો આજે માત્ર પોતાના સ્વજનોને યાદ કરવા જ નહીં, પરંતુ દુર્ઘટનાનું સાચું કારણ જાહેર થાય અને ન્યાય મળે તે માટે ફરી એકવાર એક મંચ પર એકત્ર થયા છે.
આ પણ વાંચો :વડોદરાના કુંભારવાડામાં વહેલી સવારે ફાયરિંગ: જૂની અદાવતમાં એક રાઉન્ડ ફાયરિંગથી ચકચાર, આરોપી ડિટેઈન




