Tragic Incident Near Ambaji: બનાસકાંઠાના અંબાજી નજીક આવેલા પાનસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામમાં શનિવારે બપોરે એક અત્યંત કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. ગામના તળાવમાં નાહવા પડેલા આદિવાસી સમાજના ત્રણ માસૂમ બાળકોના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મૃતક બાળકોમાં બે સગા ભાઈઓ હોવાનું સામે આવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તળાવ કાંઠે પરિવારજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

Tragic Incident Near Ambaji: કિનારે બેઠેલી બાળકીનો બચાવ, ઘેર જઈને આપી જાણ
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, બપોરે લગભગ ૨ વાગ્યે ચાર બાળકો તળાવે ગયા હતા. જેમાંથી એક બાળકીને તરતાં ન આવડતું હોવાથી તે ડૂબવાના ડરથી તળાવના કિનારે જ બેસી રહી હતી, જ્યારે બાકીના ત્રણ બાળકો પાણીમાં નાહવા પડ્યા હતા. લાંબા સમય સુધી ત્રણેય બાળકો પાણીની બહાર ન આવતા ગભરાયેલી બાળકીએ તાત્કાલિક ઘરે દોડી જઈને પરિવાર અને ગ્રામજનોને આ અંગે જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ સરપંચ, તલાટી અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં તળાવ કાંઠે દોડી આવ્યા હતા અને ત્રણેય બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર માત્ર ૭, ૮ અને ૧૦ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.

Tragic Incident Near Ambaji: “કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીએ ત્રણ માસૂમોનો બલિ લીધો” – ગ્રામજનોનો ગંભીર આરોપ
આ કાળમુખી દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે:
- ખોદકામથી ઊંડા ખાડા: આ તળાવમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસકાર્યો ચાલી રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ દરમિયાન તળાવમાં ભારે ઊંડા ખાડા કરી દેવાયા હતા. પાણી ભરેલું હોવાથી બાળકોને ઊંડાઈનો અંદાજ આવ્યો ન હતો.
- ચેતવણી બોર્ડ કે સિક્યુરિટીનો અભાવ: કામ કરી રહેલી કંપની કે કોન્ટ્રાક્ટરે તળાવની આસપાસ કોઈ ચેતવણી આપતા બોર્ડ (Signboards) લગાવ્યા ન હતા, તેમજ કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કર્યો ન હતો.
ગ્રામજનોએ આ મામલે જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Tragic Incident Near Ambaji: ગોંડલના શેમળામાં પણ ગઈકાલે આવી જ કરુણ ઘટના ઘટી હતી
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (૫ જૂન) રાજકોટના ગોંડલ તાલુકાના શેમળા ગામમાં પણ આવી જ હૃદયદ્રાવક ઘટના બની હતી. ત્યાં એક વાડીમાં મજૂરી કરતા શ્રમજીવી પરિવારના ચાર બાળકો રમતા-રમતા ઓરિયા તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં મામા-ફોઈના ૩ માસૂમ બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે ૧ બાળકની સ્થિતિ હજુ પણ ગંભીર છે. ચોમાસાની શરૂઆત પહેલાં જ તળાવોમાં બાળકો ડૂબવાની આ બેક-ટુ-બેક ઘટનાઓએ ચિંતા વધારી દીધી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
જી.એસ. મલિક ગુજરાતના નવા કાયમી DGP, 5 મહિના બાદ ઇન્ચાર્જ શાસનનો અંત; અમદાવાદ CPની રેસમાં 3 દિગ્ગજો




