Ahmedabad Firing Case: અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં ગઈકાલે (27 મે) સાંજે કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં થયેલા સનસનાટીભર્યા ગોળીબારના મામલામાં આજે (28 મે) નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. જોકે, ધરપકડ દરમિયાન સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા અને હોબાળો સર્જાયો હતો. ભૂતપૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી હોવાનો પાવર બતાવતા અશોકસિંહને આખરે બે પોલીસ કોન્સ્ટેબલે ધક્કા મારીને લોકઅપમાં ધકેલી દીધા હતા. આ કેસમાં પોલીસે નિવૃત્ત DySP ઉપરાંત તેમના દીકરા અને દીકરીની પણ ધરપકડ કરી છે.

Ahmedabad Firing Case: 500 કરોડની જમીનનો મામલો કોર્ટમાં
જે જગ્યાને લઈને આ આખો વિવાદ સર્જાયો છે તે અંદાજે 5 વિઘા જેટલી પ્રાઇમ લોકેશનની જમીન છે, જેની બજાર કિંમત આશરે 500 કરોડ રૂપિયા હોવાનું મનાય છે.
- આ જમીનનો વિવાદ નિવૃત્ત અધિકારી અશોકસિંહ ચૌહાણ અને પ્રિયમ મહેતા વચ્ચે સામે-સામે કોર્ટમાં ચાલી રહ્યો છે.
- આરોપી અશોકસિંહ ચૌહાણના વડવાઓ વર્ષોથી આ જમીનની રખેવાળી કરતા હતા, જે દરમિયાન તેમણે આ જગ્યાનો કબજો મેળવી લીધો હતો.

Ahmedabad Firing Case: જાહેરમાં 5 રાઉન્ડ ફાયરિંગથી મચી ગઈ હતી અફરાતફરી
ગઈકાલે (27 મે) સાંજે આશરે 5 વાગ્યાના સુમારે નહેરૂનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ જમીનના દસ્તાવેજ અને ભાડાના નાણાં પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે કાયદો હાથમાં લીધો હતો. તેમણે પોતાના અંગત હથિયાર (બંદૂક) વડે જાહેરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સદનસીબે આ ગોળીબારમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.
ઘટનાની ગંભીરતાને પગલે સેટેલાઈટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના એસીપી (ACP) સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે નિવૃત્ત અધિકારીનું હથિયાર કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

Ahmedabad Firing Case: ‘અમારા ઘરમાં ગુંડા ઘૂસ્યા, પોલીસે જ સાઠગાંઠ કરી’: પરિવારના આક્ષેપ
પોલીસ સ્ટેશનમાં અટકાયત દરમિયાન નિવૃત્ત DySP અશોકસિંહે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, “પોલીસે જ સાઠગાંઠ કરીને મારી માલિકીની જમીનમાં ગુંડાઓને ઘૂસાડ્યા હતા.”
બીજી તરફ, લોકઅપ તરફ લઈ જવાતી વખતે તેમની દીકરીએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા કહ્યું કે, આ મામલામાં માત્ર ‘વન સાઇડેડ સ્ટોરી’ (એકતરફી વાત) ચલાવવામાં આવી રહી છે. જ્યારે જેલના સળિયા પાછળ ધકેલાયેલા અશોકસિંહના દીકરા સિદ્ધરાજસિંહે હિન્દીમાં બૂમો પાડીને આક્ષેપ કર્યો હતો કે, તેમના ઘરમાં ગુંડાઓ ઘૂસી ગયા હોવાથી તેમણે માત્ર ‘સેલ્ફ ડિફેન્સ’ (આત્મરક્ષણ) માં જ આ પગલું ભર્યું હતું.

Ahmedabad Firing Case: પોલીસ સ્ટેશનમાં વીઆઈપી (VIP) ટ્રીટમેન્ટની ચર્ચા

ગોળીબારની ઘટના સમયે નિવૃત્ત DySP અશોકસિંહ પ્યારેસિંહ ચૌહાણની સાથે તેમનો પુત્ર સિદ્ધરાજસિંહ ચૌહાણ અને પુત્રી પણ હાજર હતા. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આરોપી નિવૃત્ત DySPને ભૂતપૂર્વ હોદ્દાને કારણે વિશિષ્ટ સુવિધા (VIP ટ્રીટમેન્ટ) આપવામાં આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આરોપીની અટકાયત કરીને શરૂઆતમાં સર્વેલન્સ સ્ક્વોડની એસી (AC) ચેમ્બરમાં બેસાડવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, સચિવાલયથી લઈને જિલ્લા સ્તરે બદલી અને પ્રમોશનનો ગંજીપો ચીપકાયો




