Stray Dog Terror in Surat: સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી તિરુપતિ માર્કેટના પાર્કિંગમાં ૨૪ મેની સાંજે એક અત્યંત આઘાતજનક અને હૃદય કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. વતન જતાં પહેલાં બકરી-ઈદના તહેવારની ખરીદી કરવા ગયેલા એક ૧૦ વર્ષના માસૂમ બાળક પર ત્રણ રખડતા કૂતરાઓએ જીવલેણ હુમલો કર્યો હતો. કૂતરાઓએ માત્ર ૩૦ થી ૪૦ સેકન્ડના ગાળામાં બાળકના માથા, હાથ અને પગ સહિતના ભાગે ૧૫થી વધુ ગંભીર બચકાં ભરી તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો.

Stray Dog Terror in Surat: કપડાંની ખરીદી કરવા ગયા ને ખુશીઓ માતમમાં ફેરવાઈ
મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરના વતની અને હાલ સુરતમાં સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મોહમ્મદ સાબીર સિદીકીનો ૧૦ વર્ષનો પુત્ર હમદાન (ધોરણ-૫) આ હુમલાનો ભોગ બન્યો છે. આ પરિવાર બે વર્ષ બાદ વતન ઈદ મનાવવા જવાનો હતો અને ૨૫ મેના રોજ તેમની ટ્રેનની ટિકિટ પણ બુક હતી.
રવિવારે સાંજે જ્યારે પિતા દુકાનમાં કપડાંનું પેમેન્ટ કરી રહ્યા હતા, ત્યારે હમદાન દુકાનના ગેટની બહાર નીકળ્યો હતો. ગેટથી માંડ ૫ મીટરના અંતરે જ એક હિંસક કૂતરાએ તેને નીચે પાડી દીધો અને અન્ય બે કૂતરાઓ પણ તેની પર તૂટી પડ્યા હતા. બાળકની ચીસાચીસ સાંભળી પિતાએ દોડી આવીને તેને કૂતરાઓના મોંમાંથી છોડાવ્યો હતો.

Stray Dog Terror in Surat: સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી: પિતાનો આક્રોશ
લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સ્મીમેર (SMIMER) હોસ્પિટલ લઈ જવાયો હતો. બાળકના પિતાએ આક્ષેપ કર્યો છે કે, સરકારી હોસ્પિટલમાં કલાકો સુધી તેમના પુત્રને કોઈ યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી. જ્યારે તેમણે ડૉક્ટરો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો, ત્યારે માંડ તેને હડકવા વિરોધી રસી (Anti-Rabies Vaccine) આપવામાં આવી હતી. અંતે કંટાળીને પિતાએ બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં તેના માથાના ભાગે અસંખ્ય ટાંકા લેવા પડ્યા છે.
“ચૂંટણી વખતે નેતાઓ મોટા વાયદા કરીને વોટ લેવા આવી જાય છે, પણ કામ કોઈ કરતું નથી. આજે મારા દીકરા સાથે આ બન્યું, કાલે બીજાના બાળક સાથે પણ બની શકે છે.”
— મોહમ્મદ સાબીર (ભોગ બનનાર બાળકના પિતા)

Stray Dog Terror in Surat: પાલિકાનો લૂલો બચાવ: “બે દિવસથી રાઉન્ડ મારીએ છીએ, પણ કૂતરા મળતા નથી!”
આ ઘટના અંગે પાલિકા માર્કેટ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. દિગ્વિજયસિંહ રામે જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ ડૉગ પકડવાની ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ માર્કેટના સિક્યુરિટી ગાર્ડને સાથે રાખીને તપાસ કરવા છતાં ત્યાં એક પણ શ્વાન મળ્યો નથી. પાલિકાનો દાવો છે કે ઘટના બાદ કૂતરાઓને ત્યાંથી ભગાડી દેવાયા છે અને ટીમ સતત સર્વેલન્સ કરી રહી છે.
જો કે, સ્થાનિકોના જણાવ્યા મુજબ સોમવારે પણ એ જ જગ્યાએ કૂતરાએ અન્ય એક વ્યક્તિને બચકાં ભર્યા હતા. સુરતના વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓના આતંક છતાં મ્યુનિસિપાલિટીનું તંત્ર હજુ સુધી કોઈ નક્કર કામગીરી કે ખસીકરણ કરવામાં નિષ્ફળ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 479 અંક તૂટીને 76,000ની સપાટી પર આવ્યો, નિફ્ટી પણ 118 અંક ગગડ્યો




