Tragedy Near Mehsana: ચૈત્રી પૂનમના પવિત્ર પર્વે માઁ બહુચરના દર્શને જઈ રહેલા પદયાત્રીઓ માટે કાળમુખો ટ્રકચાલક આફત બનીને આવ્યો હતો. મહેસાણા જિલ્લાના નવા દેલવાડા પાસે 30 માર્ચની મોડી રાત્રે બનેલા ભયાનક અકસ્માતમાં બે માઈભક્તોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 7 શ્રદ્ધાળુઓ લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ભેગા થયા છે.
Tragedy Near Mehsana: ભક્તિમય માહોલ ચીસિયારીઓમાં ફેરવાયો

સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામના આશરે 60 જેટલા શ્રદ્ધાળુઓનો સંઘ જય ઘોષ સાથે બહુચરાજીના મેળામાં ભાગ લેવા જઈ રહ્યો હતો. રાત્રે 10 વાગ્યાની આસપાસ જ્યારે સંઘ નવા દેલવાડા પાસે પહોંચ્યો, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતા એક બેફામ ટ્રકચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે હાઈવે પર લોહીના ફુવારા ઉડ્યા હતા અને પદયાત્રીઓની ચીસિયારીઓથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
Tragedy Near Mehsana: ઘટનાસ્થળે જ બે યુવકોના કરુણ મોત

આ અકસ્માતમાં સંઘમાં ચાલી રહેલા બે યુવકોએ જીવ ગુમાવ્યા છે:
- ઠાકોર દલપતજી પારખાનજી
- લાલાજી નાગજીજી
બંને મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. અકસ્માત બાદ બીજા દિવસે પણ રોડ પર લોહીના નિશાન જોઈને લોકોના કાળજા કંપી રહ્યા છે.
ઈજાગ્રસ્તોની યાદી અને સારવાર
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 7 માઈભક્તોને તાત્કાલિક પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં નીચે મુજબના પદયાત્રીઓનો સમાવેશ થાય છે:
- બતસંગજી નાગજીજી ઠાકોર
- બળદેવજી દેવસંગજી ઠાકોર
- મેહુલજી જોહાજી ઠાકોર
- જોહાજી જેમલજી ઠાકોર
- હેતલબેન બતસંગજી ઠાકોર
- વિમલબેન જોહાજી ઠાકોર
- વિક્રમ અમૃતજી ઠાકોર
ટ્રક મૂકી ચાલક ફરાર, પોલીસ તપાસ તેજ

માનવતા નેવે મૂકીને અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક વાહન સ્થળ પર જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, ધનાવાડા ગામમાં બે આશાસ્પદ યુવકોના મોતના સમાચારથી શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો :બિહાર નાલંદાના શીતળાષ્ટમી મંદિરમાં મધરાતે ભાગદોડ, 8 મહિલાઓના મોતથી અરેરાટી




