SC Crackdown:સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતના ભારે વાંધા અને કડક વલણને પગલે NCERTના ધોરણ-8ના પુસ્તકમાં સામેલ “જ્યુડિશિયલ કરપ્શન” (ન્યાયિક ભ્રષ્ટાચાર) નામના પ્રકરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. CJI સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતે આ મામલાની તપાસ કરશે અને કોઈપણ સંજોગોમાં ન્યાયતંત્રની છબીને નુકસાન પહોંચાડવા દેશે નહીં.
SC Crackdown:સુપ્રીમ કોર્ટમાં ગુંજ્યો મુદ્દો
બુધવારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં આ બાબત ઉઠાવી હતી. કપિલ સિબ્બલે જણાવ્યું કે, ધોરણ-8ના નાના બાળકોને ન્યાયિક ભ્રષ્ટાચાર વિશે ભણાવવામાં આવી રહ્યું છે, જે અત્યંત ચિંતાનો વિષય છે. અભિષેક મનુ સિંઘવીએ સવાલ ઉઠાવ્યો હતો કે માત્ર ન્યાયતંત્રને જ કેમ નિશાન બનાવવામાં આવ્યું? શું બ્યુરોક્રેસી કે રાજકારણમાં ભ્રષ્ટાચાર નથી?
SC Crackdown:CJI સૂર્યકાંતની કડક ટિપ્પણી

ન્યાયતંત્ર પરના આ આરોપોવાળા પ્રકરણથી નારાજ CJIએ કહ્યું:
“દુનિયામાં કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ એક સુનિયોજિત કાવતરું લાગે છે. હાઈકોર્ટના અનેક જજો અને સિસ્ટમના સ્ટેકહોલ્ડર્સ આનાથી પરેશાન છે. આ કેસ હું પોતે જ હેન્ડલ કરીશ.”
SC Crackdown:પુસ્તકના વિવાદાસ્પદ પ્રકરણમાં શું હતું?

NCERTના આ નવા સેક્શનમાં ન્યાયતંત્રના પડકારો અને ભ્રષ્ટાચાર પર ભાર મૂકવામાં આવ્યો હતો:
- ભ્રષ્ટાચારનો ઉલ્લેખ: તેમાં લખ્યું હતું કે લોકો ન્યાયતંત્રના અલગ-અલગ સ્તરે ભ્રષ્ટાચારનો સામનો કરે છે, જેનાથી ગરીબોની ન્યાય સુધીની પહોંચ મુશ્કેલ બને છે.
- ફરિયાદોનો આંકડો: CPGRAMS સિસ્ટમ દ્વારા 2017 થી 2021 વચ્ચે ન્યાયતંત્ર વિરુદ્ધ 1,600થી વધુ ફરિયાદો મળી હોવાનો ઉલ્લેખ હતો.
- પૂર્વ CJIનો હવાલો: પુસ્તકમાં પૂર્વ CJI બી.આર. ગવઈના નિવેદનનો ઉલ્લેખ કરીને ભ્રષ્ટાચારની જાહેર વિશ્વાસ પર પડતી અસર વિશે લખાયું હતું.
સરકારનું વલણ
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકોના પુસ્તકોમાં પ્રેરણાદાયી વાતો હોવી જોઈએ, ન કે ન્યાયતંત્ર જેવા લોકશાહીના સ્તંભને નબળો પાડતી સામગ્રી. આ વિભાગ લખવો અયોગ્ય હતો અને તેથી જ તેના વેચાણ પર રોક લગાવી દેવામાં આવી છે. જસ્ટિસ બાગચીએ પણ અવલોકન કર્યું હતું કે આ પુસ્તકનું લખાણ બંધારણના ‘બેસિક સ્ટ્રક્ચર’ વિરુદ્ધ છે.




