Devayat Khavad: ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અત્યારે કાયદાકીય સંકટમાં ફસાયા છે. પોતાની સામે નોંધાયેલી પોલીસ ફરિયાદો રદ કરાવવા માટે હાઇકોર્ટના દ્વાર ખટખટાવનાર દેવાયત ખવડને કોર્ટ તરફથી આકરી ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અરજદાર (દેવાયત ખવડ) પ્રખ્યાત નહીં, પરંતુ ‘કુખ્યાત અને માથાભારે’ છે.
Devayat Khavad:શું છે કોર્ટમાં રજૂ કરાયેલા આંકડા?

દેવાયત ખવડ સામે ચાંગોદર અને તાલાલા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદો રદ કરવાની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન આરોપી પક્ષ તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે:
- દેવાયત ખવડ સામે અત્યાર સુધી કુલ ૦૬ ગુના નોંધાયા છે.
- જેમાંથી ૦૩ ગુનામાં તે નિર્દોષ છૂટ્યો છે.
- ૦૨ ગુનામાં સમાધાન થઈ ચૂક્યું છે.
- હાલમાં ૦૧ ગુનો બાકી છે.
Devayat Khavad:જામીનની શરતોનો ભંગ અને તાલાલા હુમલો

ચાંગોદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડને આ શરતે આગોતરા જામીન આપ્યા હતા કે તે ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાશે નહીં. જોકે, જામીન પર હોવા છતાં દેવાયત ખવડે તાલાલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે, “આરોપીએ જામીન પર છૂટ્યા બાદ પણ હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપીને જામીનની શરતોનો સરેઆમ ભંગ કર્યો છે.”
Devayat Khavad:સરેન્ડર કરવાનો આદેશ અને હાઇકોર્ટનું રક્ષણ

તાલાલા હુમલા કેસ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના આગોતરા જામીન રદ કર્યા હતા અને તેને ૩૦ દિવસમાં ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર (આત્મસમર્પણ) કરવા હુકમ કર્યો હતો. ધરપકડથી બચવા દેવાયતે ફરી હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે, જેમાં કોર્ટે તેને ૦૯ ફેબ્રુઆરી સુધી પોલીસ ધરપકડ સામે કામચલાઉ રક્ષણ આપ્યું છે.
હાલમાં હાઇકોર્ટે તપાસ અધિકારી પાસે આ મામલે રિપોર્ટ મંગાવ્યો છે. આગામી ૯ ફેબ્રુઆરીએ થનારી સુનાવણી પર સૌની નજર ટકેલી છે કે દેવાયત ખવડને જેલ જવું પડશે કે ફરી રાહત મળશે.




