Dulhasti Power Project: સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ ભારતે પાકિસ્તાન સામે વધુ એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલી ચિનાબ નદી પર દુલહસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટના બીજા તબક્કાને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયને ભારત તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલો મોટો સંદેશ માનવામાં આવી રહ્યો છે.
Dulhasti Power Project: પહલગામ આતંકી હુમલા બાદ ભારતનું કડક વલણ

22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ત્યારબાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો, જેના કારણે પાકિસ્તાનમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Dulhasti Power Project: ચિનાબ નદી પર 260 મેગાવોટનો બીજો પ્રોજેક્ટ
પર્યાવરણ મંત્રાલયની સમિતિએ ચિનાબ નદી પર 260 મેગાવોટ ક્ષમતાના દુલહસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી આપી છે. અંદાજે 3200 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટ ‘રન ઑફ ધ રિવર’ મોડલ પર આધારિત છે. મંજૂરી મળતા જ હવે પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થવાની તૈયારી છે.
પ્રોજેક્ટની ખાસિયત શું છે?
‘રન ઑફ ધ રિવર’ પ્રોજેક્ટમાં નદીના કુદરતી પ્રવાહને અટકાવ્યા વગર વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ મોડલમાં મોટા ડેમ અથવા વિશાળ જળસંગ્રહની જરૂર પડતી નથી, જેના કારણે પર્યાવરણ પર અસર ઓછી રહે છે અને આંતરરાષ્ટ્રીય કરારોનું પણ પાલન થાય છે.
હાલના પ્રોજેક્ટથી 390 મેગાવોટ વીજળીનું ઉત્પાદન

દુલહસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટનો પહેલો તબક્કો વર્ષ 2007માં NHPC દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં હાલ 390 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. હવે બીજા તબક્કાને મંજૂરી મળતાં કુલ ક્ષમતામાં વધુ 260 મેગાવોટનો વધારો થશે, જે જમ્મુ-કાશ્મીર અને ઉત્તર ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
સિંધુ ખીણમાં ભારતના અનેક પ્રોજેક્ટ્સ પર કામ
સિંધુ જળ સંધિ અમલમાં હતી ત્યાં સુધી પશ્ચિમની નદીઓ—સિંધુ, જેલમ અને ચિનાબ પર પાકિસ્તાનનો મુખ્ય અધિકાર હતો. સંધિ સ્થગિત થયા બાદ ભારત હવે સિંધુ બેસિનમાં અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્સને ઝડપી ગતિએ આગળ વધારી રહ્યું છે. તેમાં સાવલકોટ, રાતલે, બરસર, પાકલ દુલ, કિરુ, કિતાઈ સહિતના પ્રથમ અને બીજા તબક્કાના પ્રોજેક્ટ્સ સામેલ છે.
પાકિસ્તાનને કેવી રીતે થશે મોટું નુકસાન?
ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનને અનેક સ્તરે નુકસાન થઈ શકે છે.
- પાકિસ્તાનને મળતા પાણીના જથ્થામાં ઘટાડો થવાની શક્યતા છે.
- પંજાબ અને સિંધ પ્રાંતમાં ખેતી માટે પાણીની અછત સર્જાઈ શકે છે.
- હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર આધારિત પાકિસ્તાનની વીજ ઉત્પાદન ક્ષમતા અસરગ્રસ્ત થઈ શકે છે.
- સિંધુ જળ સંધિ સ્થગિત થતાં પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર કાયદાકીય રીતે નબળું પડી શકે છે.
ભારતનો વ્યૂહાત્મક સંદેશ
સિંધુ જળ સંધિ સ્થગિત કરવી અને દુલહસ્તી પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી આપવી, આ બંને નિર્ણયો ભારતના સ્પષ્ટ સંકેત આપે છે કે આતંકવાદ સામે હવે કોઈ પણ પ્રકારની ઢીલ નહીં રાખવામાં આવે. પાણી અને ઊર્જા ક્ષેત્રે ભારત પોતાની વ્યૂહાત્મક ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવા તૈયાર હોવાનું આ પગલાં દર્શાવે છે.
આ પણ વાંચો :PM Modi :‘અમારી સરકારે 370ની દીવાલ તોડી પાડી’ – પ્રેરણા સ્થળ પર વડાપ્રધાન મોદીનું સંબોધન



