Visa Row Escalates:ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં વધુ એક તણાવપૂર્ણ વળાંક આવ્યો છે. ભારત દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી બાદ બાંગ્લાદેશે વળતા જવાબમાં નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશન ખાતેની તમામ કોન્સ્યુલર અને વિઝા સેવાઓ આગામી સૂચના સુધી અસ્થાયી રીતે સ્થગિત કરી દીધી છે. આ નિર્ણયથી ભારતીય નાગરિકોને બાંગ્લાદેશ માટે વિઝા મેળવવામાં મોટી મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે.

બાંગ્લાદેશ હાઈ કમિશન દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,
“અનિવાર્ય સંજોગોને કારણે નવી દિલ્હી સ્થિત મિશનમાં આપવામાં આવતી તમામ કોન્સ્યુલર અને વિઝા સેવાઓ આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. આથી થતી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરીએ છીએ.”
Visa Row Escalates:ભારતની કાર્યવાહીનો સીધો પ્રતિકાર
મહત્વનું છે કે આ નિર્ણય એક દિવસ પહેલાં ભારત દ્વારા લેવાયેલા પગલાના પ્રતિસાદરૂપે આવ્યો છે. ભારતે બાંગ્લાદેશના દક્ષિણપૂર્વ બંદર શહેર ચટ્ટોગ્રામમાં આવેલા ઇન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટરમાં વિઝા સેવાઓ આગામી સૂચના સુધી સ્થગિત કરી દીધી હતી. ભારતે આ નિર્ણય તાજેતરમાં સર્જાયેલી હિંસા અને સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીધો હતો.
Visa Row Escalates:હિંસા બાદ સંબંધોમાં ખટાશ

સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત વિરોધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સરકારને ઉથલાવનાર નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં થયેલી હિંસાએ બંને દેશોના સંબંધોમાં વધુ કડવાશ ઊભી કરી છે. આ ઘટનાના પગલે ચટ્ટોગ્રામમાં ભારતીય સહાયક ઉચ્ચ આયોગ (AHCI)ની બહાર મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન માટે એકત્ર થયા હતા.
Visa Row Escalates:ભારતનું સ્પષ્ટીકરણ, બાંગ્લાદેશનો દાવો ખોટો
બાંગ્લાદેશે દાવો કર્યો હતો કે દિલ્હીમાં સ્થિત તેની એમ્બેસી સામે લોકો દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જોકે, ભારતના કેન્દ્રીય મંત્રાલયે આ દાવાને ખોટો ગણાવી સ્પષ્ટતા કરી છે કે બાંગ્લાદેશ આ મુદ્દે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે.

ચટ્ટોગ્રામમાં વિઝા સેન્ટર બંધ, અન્ય ચાર ચાલુ
ઇન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટરે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરની ઘટનાઓ અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચટ્ટોગ્રામ સેન્ટરમાં વિઝા સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં કુલ પાંચ ભારતીય વિઝા સેન્ટરો કાર્યરત છે, જેમાં ઢાકા, ખુલના, રાજશાહી, ચટ્ટોગ્રામ અને સીલહેટનો સમાવેશ થાય છે. ચટ્ટોગ્રામ સિવાયના ચાર સેન્ટરો હાલ નિયમિત રીતે કાર્યરત રહેશે.
આગામી દિવસોમાં તણાવ વધવાની શક્યતા
રાજનૈતિક નિષ્ણાતોના મતે, બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ વિઝા યુદ્ધથી દ્વિપક્ષીય સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ કેવી રીતે વળે છે તે ઉપર ભારત-બાંગ્લાદેશના સંબંધોની દિશા નક્કી થશે.
આ પણ વાંચો :Liquor Made Easy in GIFT City:ગુજરાતમાં પહેલીવાર: GIFT Cityમાં દારૂ સેવન માટે મોટી રાહત

